ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર, અલ્પસંખ્યકોને નિશાન બનાવાયા

શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ સોમવારે રાત્રે ઢાકામાં વાતાવરણ ખૂબ જ ખરાબ થઇ ગયું છે. નેતાઓ, અધિકારીઓ અને ઘણી સંસ્થાઓ પર હુમલા થયા હતા. હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સમગ્ર બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસામાં 100થી વધુ લોકો માર્યા ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર સતત હુમલા થઈ રહ્યા છે. હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના નેતા કાજોલ દેબનાથે જણાવ્યું હતું કે સોમવારે ચાર હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે, બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટોળું પસંદગીપૂર્વક હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. તોફાનીઓએ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી.

આ પણ વાંચો :બાંગ્લાદેશમાં સત્તા પલટો: ભારતીય અર્થતંત્રને ક્યાં ક્યાં પડશે ફટકો, શું થશે મોંઘું?

બાંગ્લાદેશી મીડિયાના અહેવાલ મુજબ બાંગ્લાદેશના 27 જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. મંદિરો પર પણ હુમલા થયા છે. અહેવાલ અનુસાર, લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિંદુ કાર્યો સાથે સંકળાયેલી પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી છે.

તોફાનીઓએ નગરપાલિકાના સભ્ય મુહીન રોયની કોમ્પ્યુટરની દુકાનમાં પણ તોડફોડ કરી હતી અને લૂંટ ચલાવી હતી. કાલીગંજ ઉપજિલ્લાના ચંદ્રપુર ગામમાં 4 હિન્દુ પરિવારોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. હાથીબંધા ઉપજિલ્લાના પુરબો સરદુબી ગામમાં 12 હિન્દુઓના ઘરોને આગ લગાડવામાં આવી છે.

બાંગ્લાદેશી મીડિયા અનુસાર, પંચગઢમાં ઘણા હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. ઓક્યા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથના જણાવ્યા અનુસાર, એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલા ન થયા હોય. તેમને સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે.

રિપોર્ટ અનુસાર હિંદુઓને તેમના ઘરની બહાર ફેંકી દેવામાં આવી રહ્યા છે અને માર મારવામાં આવી રહ્યો છે. તેમની દુકાનો લૂંટાઈ રહી છે. આ હુમલાઓને કારણે હિન્દુઓ ભયના ઓથારમાં રડી રડીને અને ડરી ડરીને જીવી રહ્યા છે. દિનાજપુર શહેર અને અન્ય ઉપનગરોમાં 10 હિન્દુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ શહેરના રેલબજારહાટમાં એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી.

બાંગ્લાદેશ હિંદુ-બુદ્ધ ક્રિશ્ચિયન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ઉત્તમ કુમાર રોયે જણાવ્યું હતું કે ખાનસામા ત્રણ હિંદુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. સાંજે 7.30 વાગ્યે 200-300થી વધુ હુમલાખોરોએ તેમની બે માળની ઇમારતને આગ ચાંપી દીધી.

ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવ્યા હતા ખુલનામાં સાંજે 5 વાગ્યે બિમાન બિહારી અમિત અને અનિમેષ સરકારના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. રૂપશા પોલીસ સ્ટેશન હેઠળના હૈસગતી ગામના શ્યામલ કુમાર દાસ અને સ્વજન કુમાર દાસના ઘરો પર પણ હુમલો કરીને લૂંટ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button