ઈઝરાયલ ઈરાન યુદ્ધવિરામ વચ્ચે પણ ઇરાન દહેશતમાં, સાઉદીના રક્ષા મંત્રી સાથે કરી આ વાત

તહેરાન: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલેલા યુદ્ધ બાદ અમેરિકાના પ્રયાસોથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. તેમજ આ યુદ્ધવિરામ થયાને છ દિવસ વીતી ગયા છે. પરંતુ ઈરાનને હજુ પણ આશંકા છે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ ટકશે કે નહીં. ઈરાને કહ્યું કે તેને આશંકા છે કે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરાયેલ ઈઝરાયલ સાથેનો કામચલાઉ યુદ્ધવિરામ લાંબો સમય નહિ ચાલે. આ મુસ્લિમ દેશે સંકેત આપ્યો છે કે જો યુદ્ધવિરામ ભંગ થાય તો તે જવાબ આપવા તૈયાર છે.
હુમલાનો આક્રમક જવાબ આપવા તૈયાર
મીડિયા અહેવાલ મુજબ ઈરાનના સશસ્ત્ર દળના વડા અબ્દુલરહીમ મૌસાવીએ કહ્યું, ‘અમને યુદ્ધવિરામ સહિત દુશ્મનની તેની જવાબદારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે ગંભીર શંકા છે. જો ઈરાન પર ફરીથી હુમલો કરવામાં આવશે તો અમે આક્રમક જવાબ આપવા તૈયાર છીએ.
મૌસાવીએ સાઉદીના રક્ષા મંત્રી સાથે ફોન પર વાત કરી
મૌસાવીએ રવિવાર ના રોજ સાઉદીના રક્ષા મંત્રી ખાલિદ બિન સલમાન સાથે ફોન પર વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે મંગળવાર 24 જૂનથી શરૂ થયેલા નાજુક યુદ્ધવિરામ વિશે વાત કરી હતી.
ઇઝરાયલે ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી અધિકારીઓને માર્યા
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ 13 જૂનના રોજ શરૂ થયો હતો, જ્યારે ઇઝરાયેલે હુમલામાં ઘણા લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. ઇઝરાયલે IAEA રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની ખૂબ નજીક છે. તેથી તેના પરમાણુ સ્થળોને નિશાન બનાવવું જરૂરી હતું. લશ્કરી અને પરમાણુ લક્ષ્યો સાથે તહેરાન અને અન્ય શહેરોના નાગરિક વિસ્તારોને પણ ઇઝરાયલી હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો પર બોમ્બ ફેંક્યા
જેની બાદ અમેરિકા પણ ઇઝરાયલમાં જોડાયું અને યુએસ એરફોર્સે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હુમલા પછી દાવો કર્યો હતો કે આ હુમલાઓએ ઈરાની પરમાણુ માળખાને સંપૂર્ણપણે નાશ કરી દીધો છે. જોકે, ઈરાને દાવો કર્યો હતો કે ઇઝરાયલી હુમલા પહેલા જ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફાહાક પરમાણુ મથકોમાંથી યુરેનિયમ સહિત પરમાણુ શસ્ત્રોની સામગ્રી અન્યત્ર ખસેડી લેવામાં આવી હતી.
આ પણ વાંચો…ઇઝરાયલે એર સ્ટ્રાઈકમાં હમાસના ટોપ કમાન્ડરને માર્યો, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટર માઇન્ડ