હત્યા કે આત્મહત્યા? અમેરિકામાં ઘરની અંદરથી ભારતીય દંપતી અને 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા

ન્યૂયોર્કઃ અમેરિકાથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી કે તે હત્યા છે કે આત્મહત્યા. હકીકતમાં, અમેરિકાના ન્યુ જર્સીમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમના બે બાળકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્લેન્સબોરો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, તેજ પ્રતાપ સિંહ, (43), અને સોનલ પરિહાર (42) તેમના 10 વર્ષના અને 6 વર્ષના પુત્ર સાથે તેમના પ્લેન્સબરોના ઘરમાં બુધવારે સાંજે 4:30 વાગ્યા પછી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મિડલસેક્સ કાઉન્ટી પ્રોસીક્યુટર યોલાન્ડા સિકોન અને પ્લેન્સબોરો પોલીસ વિભાગના વડા ઇમોન બ્લેન્ચાર્ડે ગુરુવારે જાહેરાત કરી હતી કે હાલમાં હત્યાની તપાસ ચાલી રહી છે. “4 ઑક્ટોબરની સાંજે, અધિકારીઓને પ્લેન્સબરોમાં ઘરની તપાસની વિનંતી કરવા માટે 911 પર કૉલ કરવામાં આવ્યો હતો, અને ઘટનાસ્થળે પહોંચ્યા પછી, પોલીસે ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા,” એમ તેઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ‘આ મામલે તપાસ ચાલી રહી છે અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટના આધારે જાણવા મળશે કે આ પરિવારનું મૃત્યુ કેવી રીતે થયું છે.’
જોકે, તેમના શરીર પર ઇજાના દેખીતા કોઇ નિશાન જોવા મળ્યા નથી કે તેમના ઘરમાંથી પણ કોઇ વસ્તુ ગાયબ થઇ નથી. મૃતક તેજ પ્રતાપ સિંહના 10થી વધુ વર્ષના પડોશીએ તેમને એક મૈત્રિપૂર્ણ, સજ્જન, માયાળુ પરિવાર ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ પણ સદ્ધર હતી.
Tej pratap singh was an IIT Kanpur alumni