પાકિસ્તાનના મિત્ર તુર્કીયે સાથે ભારત વેપાર નહીં ઘટાડે! અખબારી અહેવાલે કર્યો આવો દાવો

નવી દિલ્હી: ભારતે ‘ઓપરેશન સિંદૂ’ હેઠળ પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કર્યા બાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. આ દરમિયાન અઝરબૈજાન અને તુર્કીયેએ પાકિસ્તાનને સમર્થન જાહેર કર્યું હતું. જેના કારણે ભારતમાં આ બંને દેશો સામે રોષ ફાટી નીકળ્યો હતો, બંને દેશો સાથે વેપાર ઘટાડવા સરકાર સમક્ષ માંગ થઇ રહી છે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર દ્વિપક્ષીય વેપારમાં પ્રતિબંધો મુકાશે નહીં, કેમ કે ભારત આયાતની સામે મોટી માત્રમાં તુર્કીયેમાં નિકાસ કરે છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ભારત તુર્કીયે સાથે લગભગ $2.73 બિલિયનનો સરપ્લસ વેપાર કરે છે, તુર્કીયે પર કોઈપણ પ્રકારના પ્રતિબંધથી વેપાર પર નકારાત્મક અસર પડી શકે છે.
સફરજન અને માર્બલ પર પ્રતિબંધની માંગ:
એક સરકારી અધિકારીએ એક અગ્રણી અગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે અમને તુર્કીયેથી થતી આયાત પર પ્રતિબંધ મૂકવા માટે ઘણી અરજીઓ મળી છે. હિમાચલ પ્રદેશના સફરજન ઉત્પાદકોએ તુર્કીથી થતી સફરજનની આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે, આ ઉપરાંત ઉદયપુરના માર્બલ ઉત્પાદકોએ તુર્કીયેથી આયાત થતા માર્બલ પર પણ પ્રતિબંધ લાગવવાનો માંગ કરી છે.
અધિકારીએ કહ્યું કે ભારત તુર્કી સાથે સરપ્લસ વેપાર કરે છે અને આપણે આપણા નિકાસકારોના હિતોને પણ ધ્યાનમાં રાખવા પડશે. આ વેપાર પ્રતિબંધ એક મજબૂત સંદેશ હોઈ શકે છે, પરંતુ આ પ્રતિબંધો ક્યાં સુધી લઈ જવા એ પણ વિચારવું પડશે.
ગયા મહિને, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે તુર્કીયેના એરપોર્ટ ગ્રાઉન્ડ-હેન્ડલિંગ કંપની સેલેબી એવિએશન હોલ્ડિંગની ભારતીય શાખાની મંજૂરી રદ કરી હતી. જેકે આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
ભારતની યુર્કીયેમાં નિકાસ:
ભારત માટે તુકીયે સાથે ટ્રેડ સરપ્લસ મહત્વની છે, કારણ કે ભારત તુર્કીયેમાં એન્જિનિયરિંગ સમાનથી માંડીને ઇલેક્ટ્રોનિક્સ અને કાર્બનિક અને અકાર્બનિક રસાયણો સુધીની નિકાસ કરે છે. છેલ્લા 5 વર્ષમાં આ વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. તેનાથી વિપરીત, તુર્કીએથી ભારતમાં આયાત થતા સમાનમાં મુખ્યત્વે ફળો, સુકોમેવો, સોનું અને માર્બલનો સમાવેશ થાય છે.
યુક્રેન યુદ્ધ પછી તુર્કીએ ભારતમાંથી પેટ્રોલિયમ આયાતમાં પણ વધારો કર્યો હતો, પરંતુ 2025 માં તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
ભારતની તુર્કીએમાં થતી નિકાસમાં MSME સેક્ટરનું નોંધપાત્ર યોગદાન છે, જે કુલ નિકાસના લગભગ 35-40 ટકા છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન તુર્કીથી આયાત $2.99 બિલિયન રહી હતી, જેમાં ફળો અને સુકામેવાની આયાત $107.12 મિલિયન હતી, જે તેના અગાઉના નાણાકીય વર્ષમાં $96.82 મિલિયનથી લગભગ 10 ટકા વધુ છે. ભારતે નાણાકીય વર્ષ 2025 માં તુર્કીથી $270.83 મિલિયનનું સોનું આયાત કર્યું હતું, જે નાણાકીય વર્ષ 2024 માં $104.56 મિલિયનની સોનાની આયાત કરતાં 159.02 ટકા વધુ છે.
આપણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા
નોંધનીય છે કે તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપતા ભારતીય પ્રવાસીઓ તુર્કીયેનો પ્રવાસ રદ કરી રહ્યા છે. હવે લોકો કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા મધ્ય એશિયાઈ દેશોમાં ફરવા જઈ રહ્યા છે.