ભારતની આ ટકોરને કેનેડાએ ગંભીરતાથી લીધી…
![A photo of the Indian and Canadian flags side by side, with a question mark in between, to represent the diplomatic spat between the two countries](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/India-Canada-diplomatic-spat.webp)
નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો સતત બગડી રહ્યા છે. ભારત દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ બાદ કેનેડાએ હવે તેના રાજદ્વારીઓને હટાવવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વિવાદ વચ્ચે કેનેડાએ ભારતમાં કામ કરતા તેના મોટાભાગના રાજદ્વારીઓને કુઆલાલંપુર અથવા સિંગાપુર મોકલી દીધા છે.
ભારતે કેનેડાને નવી દિલ્હીમાં કામ કરતા પોતાના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે 10 ઓક્ટોબરની સમયમર્યાદા આપી હતી ત્યારબાદ કેનેડાએ આ પગલું ભર્યું છે. નિયમઅનુસાર ભારત અને બીજા કોઇપણ દેશમાં એકસરખા રાજદ્વારીઓની નિમણૂક કરવાની હોય છે. પરંતુ ભારત કરતા કેનેડાના રાજદ્વારીઓની સંખ્યા ભારતમાં વધારે હતી. જો કે અત્યાર સુધી આ બાબતને નજરઅંદાજ કરવામાં આવતી હતી પરંતુ નિજ્જરની હત્યામાં કેનેડાએ ભારત પર હત્યાનો આરોપ મૂકતા ભારતે તેનો વિરોધ કર્યો અને કેનેડા સામે કડક કાર્યવાહી કરી હતી.
અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આ રાજદ્વારીઓની સંખ્યા 41 છે, પરંતુ સીટીવી ન્યૂઝના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજદ્વારીઓની સંખ્યા એકસરખી કરવા માટે કેનેડાને કહેવામાં આવ્યું હતું.
કેનેડાએ તરત જ એક્શન લેતા દિલ્હીની બહાર ભારતમાં કામ કરતા મોટાભાગના કેનેડિયન રાજદ્વારીઓને કુઆલાલંપુર અથવા સિંગાપોર મોકલવામાં આવ્યા છે. ગ્લોબલ અફેર્સ કેનેડા, કેનેડાના રાજદ્વારી અને કોન્સ્યુલર સંબંધોનું સંચાલન કરતા વિભાગે અગાઉ કહ્યું હતું કે કેટલાક રાજદ્વારીઓને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળ્યા બાદ તે ભારતમાં તેના સ્ટાફની સંખ્યાનું મૂલ્યાંકન કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે પરસ્પર રાજદ્વારી સંખ્યા એક સરખી હોવા પર ચર્ચા ચાલી રહી છે અને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત આ મુદ્દે તેની સ્થિતિની સમીક્ષા કરશે નહીં. એવી માહિતી છે કે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા લગભગ 60 છે અને નવી દિલ્હી ઈચ્છે છે કે ઓટાવા આ સંખ્યા ઘટાડીને ઓછામાં ઓછા 36 કરી દેવી જોઇએ.
તેમજ કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ માહિતી કે પુરાવા ભારત સાથે શેર કર્યા નથી. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે કેનેડા નિજ્જરના મામલે જો કોઈ ચોક્કસ માહિતી નવી દિલ્હી સાથે શેર કરવામાં આવે છે, તો તે તેના પર વિચાર કરવા તૈયાર છે.