Imran Khan: શું ઈમરાન ખાનને ફાંસીની સજા થઇ શકે છે? જાણો પાકિસ્તાન આર્મી એક્ટ શું છે જોગવાઈ

ઇસ્લામાબાદ: અનિશ્ચિતતાઓ વચ્ચે પાકિસ્તાનમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન જેલમાં છે, એવી અટકળો ચાલી રહી છે કે તેમને ફાંસીની સજા પણ થઈ શકે છે. એક સમયે પાકિસ્તાની સેનાના સમર્થનથી ઈમરાન ખાન વડા પ્રધાન પદ પર પહોંચ્યા હતા, હવે એ જ સેના તેની સામે ઉભી છે. જો રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ સેના વિરુદ્ધ બળવાના આરોપોની પુષ્ટિ થાય છે, તો તેમને મૃત્યુદંડ થઈ શકે છે.
ગયા વર્ષે 9 મેના રોજ, ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરોએ જિન્નાહ હાઉસ (લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ), મિયાંવાલી એર બેઝ અને ફૈસલાબાદમાં આઈએસઆઈ બિલ્ડિંગ સહિત એક ડઝન લશ્કરી મથકોમાં તોડફોડ કરી હતી. રાવલપિંડીના મિલિટરી હેડક્વાર્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ હુમલો ઈમરાનના કાર્યકરોએ કર્યો હતો. હવે આ કેસમાં ઈમરાન સહિત અન્યો સામે કેસ ચાલી રહ્યો છે. તેને આ હુમલાનો માસ્ટરમાઈન્ડ કહેવામાં આવી રહ્યો છે.
PTIનું કહેવું છે કે આ હુમલા તેમના કાર્યકર્તાઓ દ્વારા નહીં પરંતુ સેના દ્વારા જ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર હુમલો લંડન કરારનો એક ભાગ હતો. ઈમરાનનો આરોપ છે કે પૂર્વ પીએમ નવાઝ શરીફ ફરીથી સેનાની ગુડબુકમાં આવી ગયા છે. તેઓ આ દ્વારા સત્તામાં પાછા આવવા માંગે છે. તમામ બાબતો સાવધાનીપૂર્વક આયોજન સાથે થઈ હતી અને તેમને એવી રીતે ફસાવવામાં આવ્યા હતા કે તેમનો પક્ષ સત્તાથી દૂર રહે.
પાકિસ્તાનમાં આર્મી હંમેશા સૌથી શક્તિશાળી સંસ્થા રહી છે. આ જ કારણ છે કે અહીં સૈન્ય સરકારો બનતી રહી. આ આર્મી એક્ટમાં એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે જે તેની વિરુદ્ધમાં આવશે તેને સૌથી સખત સજા કરવામાં આવશે અને મૃત્યુ પણ થઈ શકે છે. 1952માં બનેલા આર્મી એક્ટ હેઠળ માત્ર સૈનિક જ નહીં પરંતુ સામાન્ય લોકો પર પણ કાર્યવાહી થઈ શકે છે.
એક્ટ કલમ 59 મુજબ જો કોઈ દેશ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે, અથવા સેના કે સુરક્ષા દળો વિરુદ્ધ હુમલો કરે અથવા કાવતરું કરે છે, તો તેને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે.
આ કલમ હેઠળ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપવામાં આવી હતી. સેનાનો આરોપ છે કે કુલભૂષણ ભારત વતી જાસૂસી કરી રહ્યા હતા. પાકિસ્તાની નાગરીકોને પણ આ એક્ટ હેઠળ સજા મળી છે. ઉદાહરણ તરીકે, માનવાધિકાર કાર્યકર્તા ઇદ્રિસ ખટ્ટકને જાસૂસીના આરોપમાં 14 વર્ષની જેલ કરવામાં આવી હતી. માનવાધિકાર કાર્યકર્તાઓનો આરોપ છે કે નિર્દોષ લોકોને પણ આર્મી એક્ટ દ્વારા પકડવામાં આવ્યા હતા અને સજા કરવામાં આવી હતી. ખુદ ઈમરાનના કાર્યકાળ દરમિયાન આ કાયદા હેઠળ 20 સામાન્ય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
હાલમાં ઈમરાન ખાન વિરુદ્ધ લગભગ 150 કેસ પેન્ડિંગ છે, જેમાંથી સૈન્ય ઠેકાણા પર હુમલો પણ એક છે. મે મહિનામાં થયેલા હુમલાનો આ કેસ પાકિસ્તાન મિલિટરી કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલમાં પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે મિલિટરી કોર્ટને ચુકાદો આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ક્યારેક તો આ અંગે નિર્ણય આવશે. પાકિસ્તાનનો ઈતિહાસ પણ એવો રહ્યો છે કે સેનાને પડકારનારા કોઈ બચ્યા નથી.