બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી

ઢાકા: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કોર્ટના અવમાનના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે આ સજા જાહેર કરી છે. ત્રણ સભ્યોની બેન્ચે બુધવારે આ ચુકાદો સંભળાવ્યો હતો. બાંગ્લાદેશી મીડિયા અનુસાર આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલની બેન્ચનું નેતૃત્વ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદાર કરી રહ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે શેખ હસીનાને કોઈ પણ કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે.
શેખ હસીનાને કયા કેસમાં સજા ફટકારવામાં આવી હતી?
મીડિયા અહેવાલ મુજબ ગત વર્ષે શેખ હસીનાની એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ત્યારબાદ બાંગ્લાદેશી મીડિયાએ પણ તેનું પ્રસારણ કર્યું હતું. આ ઓડિયો ક્લિપમાં, શેખ હસીના કથિત રીતે ગોવિંદગંજ ઉપજિલ્લાના અધ્યક્ષ શકીલ બુલબુલ સાથે વાત કરી રહી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે મારી સામે 227 કેસ નોંધાયેલા છે. તેથી મને 227 લોકોની હત્યા કરવાનું લાઇસન્સ મળી ગયું છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે શકીલ બુલબુલને કોર્ટના અવમાનના કેસમાં બે મહિનાની જેલની સજા પણ ફટકારી છે.
આ પણ વાંચો: શેખ હસીના પર કત્લેઆમના આદેશ આપવાનો ગંભીર આરોપ: માનવતા વિરુદ્ધ ગુનાનો કેસ દાખલ
સાક્ષીઓને ડરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ
આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે શેખ હસીનાના નિવેદન બદલ દોષી ઠેરવ્યા. કોર્ટે કહ્યું કે ગુનેગારો કોર્ટમાં શરણાગતિ સ્વીકારે અથવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે ત્યારે જ સજા શરૂ થશે. આ સખત કેદની સજા નહીં હોય. 30 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલના મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે ટ્રિબ્યુનલ સમક્ષ કેસ રજૂ કર્યો અને શેખ હસીનાના નિવેદનને પીડિતો અને સાક્ષીઓને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો. ફોરેન્સિક તપાસના આધારે તપાસકર્તાઓએ કહ્યું કે ઓડિયો ક્લિપમાં અવાજ શેખ હસીનાનો છે.