ટ્રમ્પની ટેરિફ વોર્નિંગ: આજે રાતથી 12 દેશને મળશે ચેતવણી પત્રો, ભારત પર શું થશે અસર?

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટું નિવેદન આપીને વિશ્વભરના ઘણા દેશોની ચિંતા વધારી છે. તેમણે કહ્યું છે કે આજ રાતથી જ 10 થી 12 દેશોને ટેરિફ અંગે પત્રો મોકલવાના છે. ટ્રમ્પનો આ પત્ર ટેરિફ અંગે આ દેશોને ચેતવણી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ પત્ર એવા દેશોને મોકલવામાં આવશે જેમની સાથે અમેરિકાનો હજુ સુધી કોઈ વેપાર કરાર થયો નથી. જોકે, ટ્રમ્પ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેઓ કયા દેશોને આ પત્ર મોકલવાના છે.
ડોનાલ્ડ ટ્રમ્પે 200 થી વધુ દેશો પર ટેરિફની જાહેરાત કરી
2 એપ્રિલના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પે 200 થી વધુ દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી, જેમાં ભારત પણ શામેલ છે. જો કે, થોડા દિવસો પછી તેને 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા 9 જુલાઈ ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ સંદર્ભમાં આ પત્ર મોકલવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે હું પત્ર મોકલીને કહેવા માંગુ છું કે તમે વેપાર કરાર કરી શકો છો, નહીં તો તમારા પર ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ પત્રમાં એ પણ ઉલ્લેખ હશે કે કોને કેટલો ટેરિફ ચૂકવવો પડશે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની શકયતા
એક દિવસ પહેલા, એવા સમાચાર આવ્યા હતા કે ભારત અને અમેરિકા વચ્ચે 48 કલાકની અંદર ટેરિફ અંગે કરાર થઈ શકે છે. જો કે, એવા પણ સમાચાર છે કે બંને દેશો હજુ સુધી કેટલાક ક્ષેત્રો પર પોતપોતાની શરતો પર સંમત થયા નથી. ટેરિફ પર ભારતનું વલણ સ્પષ્ટ છે, દેશ કોઈપણ કિંમતે તેની શરતો સાથે સમાધાન કરવાનો નથી.
આ પણ વાંચો…શું ટ્રમ્પની ટેરિફનીતિ અમેરિકા પર જ ભારે પડશે? રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા