Ebrahim Raisi નું નિધન ભારત માટે મોટો ઝટકો? ઈરાન સાથે મિત્રતા કેવી રીતે આગળ વધશે

નવી દિલ્હી : મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે તમામની નજર સ્થિરતા અને શાંતિ માટે ઈરાન (Iran) પર હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું (Ebrahim Raisi) હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. હવે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ બાબત ભારત માટે પણ મહત્વની છે કારણ કે ભારત ઈરાન સાથે સંબંધો વધારવા પર ભાર આપી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ઈરાનના રાષ્ટ્રપતિ પદની રેસમાં અલી ખમેની સૌથી આગળ છે. રઇસીના આકસ્મિક મૃત્યુ બાદ તેના વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
રઇસીએ એવા ઘણા નિર્ણયો લીધા જેનાથી અમેરિકા પણ ચોંકી ગયું
63 વર્ષીય રઇસી 2021થી રાષ્ટ્રપતિ હતા. જ્યારે તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીના ઉત્તરાધિકારી પણ માનવામાં આવી રહ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખમેનીના પુત્ર મોજતબા ખમેની સુપ્રીમ લીડરના ઉત્તરાધિકારી બની શકે છે. જોકે તેની પાસે એટલો અનુભવ નથી. રઇસી તેમના આકરા નિર્ણયો માટે જાણીતા હતા. પાછલા વર્ષોમાં રઇસીએ એવા ઘણા નિર્ણયો લીધા જેનાથી અમેરિકા પણ ચોંકી ગયું. ઈરાનના પરમાણુ કાર્યક્રમથી સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો હતો. ઈરાનના કારણે જ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ P5+1 ડીલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. આ પછી, જો બિડેનના વહીવટમાં પણ વસ્તુઓ ઉકેલી શકાઈ નથી.
ભારત માટે ઈરાન કેમ મહત્વનું છે
ઈરાનનું રાજકારણ ભારત માટે મહત્ત્વનું છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં રઇસીના મોત બાદ વડાપ્રધાન મોદીએ તેના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ આ મુશ્કેલ સમયમાં ઈરાનની સાથે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યું ઈરાન અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના. આવા મુશ્કેલ સમયમાં ભારત ઈરાનની સાથે છે.