ઘરઆંગણે જ નહીં, દુનિયામાં પણ એકલા પડી ગયા ટ્રુડો | મુંબઈ સમાચાર

ઘરઆંગણે જ નહીં, દુનિયામાં પણ એકલા પડી ગયા ટ્રુડો

હવે એડવાઇઝરીનો દાવ ખેલી રહ્યા છે

ઓટાવાઃ સોશિયલ મીડિયા પર કેનેડા વિરુદ્ધ નકારાત્મક લાગણી ફેલાવવાનો આરોપ લગાવીને કેનેડાની સરકારે ભારતમાં રહેતા તેના નાગરિકોને વધુ સાવચેત રહેવા કહ્યું છે.

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ વધુ એક નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે, જેમાં કેનેડાની સરકારે ભારતમાં રહેતા પોતાના નાગરિકોને વધુ સાવધ રહેવા કહ્યું છે અને એમ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર કેનેડા વિરુદ્ધ વિરોધ અને નકારાત્મક લાગણીઓ ફેલાવવામાં આવી રહી છે.


કેનેડા દ્વારા આ કાર્યવાહી મોદી સરકારના નિર્ણય બાદ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશમાં રહીને ભારતીય સંસ્થાઓને નુકસાન પહોંચાડનારા અને ભારત વિરુદ્ધ અભિયાન ચલાવનારાઓના OIC કાર્ડ રદ કરવામાં આવશે. કેનેડા દ્વારા જારી કરવામાં આવેલી આ બીજી ટ્રાવેલ એડવાઈઝરી છે. કેનેડા માટે પ્રથમ ટ્રાવેલ એડવાઈઝરી જારી કર્યા બાદ ભારત સરકારે પણ કેનેડા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે.


ભારત પર આક્ષેપો કરીને ટ્રુડો ચારે બાજુથી ઘેરાયેલા છે. કેનેડાની વિપક્ષી પાર્ટી જ નહીં, તેમના જ પક્ષના સાંસદો પણ ટ્રુડોની તરફેણમાં હોય તેવું લાગતું નથી. આ સિવાય કેનેડિયન મીડિયા પણ ટ્રુડોના આરોપોને ‘અસામાન્ય’ ગણાવતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, અમેરિકા સહિત ઘણા દેશો આ મામલે ભારતની સાથે ઉભા છે. હવે જ્યારે કેનેડા ચારે બાજુથી ઘેરાયેલું છે, ત્યારે તે ભારત સાથે ‘એડવાઈઝરી-એડવાઈઝરી’ રમી રહ્યું છે અને એક પછી એક એડવાઈઝરી જારી કરી રહ્યું છે.


કેનેડાની સરકારે રવિવારે ફરી એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે, ‘કેનેડા અને ભારતમાં તાજેતરના વિકાસના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ ફેલાવવામાં આવી રહી છે. મહેરબાની કરીને સાવચેત રહો અને સાવચેતી રાખો.’


નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય જાસૂસોની ‘સંભવિત’ સંડોવણીને લઈને ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

Back to top button