કેનેડામાં હિંદુ મંદિર પર હુમલા અંગે વિદેશ પ્રધાને ચિંતા વ્યક્ત કરી, બંને દેશોના સંબંધો વધુ બગડશે!

ટોરંટો: કેનેડાના બ્રામ્પટનમાં હિંદુ સભા મંદિર પર હુમલાના ઘેરા પ્રતીધાતો (Attack on Hindu Temple in Canada)પડી રહ્યા છે, હિંદુ સમુદાયના લોકો મંદિરમાં તિરંગા અને ભગવા ધ્વજ સાથે ઉમટી રહ્યા છે. વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકરે (S Jaishankar) પણ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. આજે મંગળવારે તેમણે જણાવ્યું હતું કે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાની ઝંડા લઈને આવેલા લોકો દ્વારા કરવામાં આવેલી તોડફોડ “ખૂબ ચિંતાજનક” છે.
ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવના સમયે આ હુમલો થતા, બંને દેશના સંબંધોમાં મોટી ફાટ પડે તેવી શકયતા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં બ્રેમ્પટનના મંદિરમાં એકઠા થયેલા લોકો પર ખાલીસ્તાન સમર્થકો હુમલો કરતા હોય એવું જોવા મળી રહ્યું છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ આ ઘટનાને વખોડી કાઢી છે.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે, આ દરમિયાન રાજધાની કેનબેરામાં તેમણે મીડિયા સંસ્થા સાથે વાત કરતા જણાવ્યું કે કેનેડામાં હિંદુ મંદિરમાં ગઈ કાલે જે બન્યું તે દેખીતી રીતે ખૂબ જ ચિંતાજનક હતું.
અગાઉ સોમવારે, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવતી હિંસાના કૃત્યોની નિંદા કરે છે. હિંસામાં સમેલ લોકો સામેકાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવી આશા છે.
મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ભારત કેનેડામાં ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા અંગે અત્યંત ચિંતિત છે.
વડા પ્રધાન મોદીએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે, “હું કેનેડામાં હિંદુ મંદિર પર ઇરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આ હુમલો અમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો જેટલો જ ભયાનક છે. હિંસાનાં આવા કૃત્યો ક્યારેય ભારતના સંકલ્પને નબળો નહીં પાડી શકે. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાનું શાસન જાળવી રાખે.”