ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભ્રષ્ટાચારના કેસ રાહત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા

ન્યુયોર્ક : ઇઝરાયલની અદાલતમાં ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. ઇઝરાયલની કોર્ટે વડા પ્રધાન નેતન્યાહૂ સામેની સુનાવણી મુલતવી રાખી છે. આ રાહત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.
બેન્જામિન નેતન્યાહૂ સામે 4 વર્ષથી કેસ
બેન્જામિન નેતન્યાહૂ સામેનો આ કેસ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો છે. જેમાં નેતન્યાહૂ પર ત્રણ અલગ અલગ કેસોમાં લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ છે. હાલમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા આ કેસ બંધ કરવાની માંગના થોડા કલાકો પછી કોર્ટે સુનાવણી મુલતવી રાખી છે.

રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ હોવાનું જણાવાયું
જેરુસલેમની ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક ટિપ્પણીમાં કહ્યું કે નેતન્યાહૂને આગામી બે અઠવાડિયા માટે જુબાની આપવાથી મુક્તિ આપવામાં આવી છે. તેનું કારણ રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ હોવાનું જણાવાયું છે. આ આદેશ તે નિર્ણયના બે દિવસ પછી આવ્યો છે જેમાં ન્યાયાધીશે ઇઝરાયલી વડા પ્રધાનની સુનાવણી મુલતવી રાખવાની વારંવારની માંગને ફગાવી દીધી હતી.
આ અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર નેતન્યાહૂ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસની આકરી ટીકા કરી હતી, તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ટ્રમ્પે લખ્યું હતું કે, ઇઝરાયલમાં નેતન્યાહૂ સાથે જે થઈ રહ્યું છે તે અત્યંત શરમજનક છે. તેઓ યુદ્ધના નાયક છે અને તેમણે ઈરાનના ખતરનાક પરમાણુ ખતરાને દૂર કરવા માટે અમેરિકા સાથે મળીને ઉત્તમ કામ કર્યું છે.
ઈરાન સાથેના નાજુક યુદ્ધવિરામમાં અવરોધ આવશે
ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે અમેરિકા દર વર્ષે ઈઝરાયલના રક્ષણ અને સમર્થન માટે અબજો ડોલર ખર્ચ કરે છે.જે અન્ય કોઈપણ દેશ કરતા વધુ છે. અમે આ સહન નહીં કરીએ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે નેતન્યાહૂને આ બાબતમાં વ્યસ્ત રાખવાથી ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસો તેમજ ઈરાન સાથેના નાજુક યુદ્ધવિરામમાં અવરોધ આવશે.
આના પર બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો. નેતન્યાહૂએ તેમના જવાબમાં કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ, ફરી એકવાર આભાર. આપણે સાથે મળીને આપણે મધ્ય પૂર્વને ફરીથી મહાન બનાવીશું.
આપણ વાંચો : ઇઝરાયલે એર સ્ટ્રાઈકમાં હમાસના ટોપ કમાન્ડરને માર્યો, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટર માઇન્ડ