બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર તોડફોડ બાદ આક્રોશ, ભારતના કડક વલણ બાદ ઢાકામાં વિરોધ પ્રદર્શન…

ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો પરના હુમલાઓ સતત વધી રહ્યા છે. જેમાં તાજેતરમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાના દુર્ગા મંદિરમાં કથિત તોડફોડની ઘટનાની ભારતની કડક નિંદા બાદ હિન્દુઓ એકત્ર થયા છે. જેમાં શુક્રવારે ઢાકામાં સેંકડો હિન્દુઓએ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બાંગ્લાદેશ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા તૈયાર
આ ઘટના અંગે ઢાકામાં ગુરુવાર અને શુક્રવારે હિન્દુ સમુદાય અને નાગરિક સંગઠનોએ પણ જોરદાર વિરોધ કર્યો છે. ભારતમાં પણ ઘણા સામાજિક સંગઠનોએ આ ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે. ગંગા જળ સંધિના સંભવિત નવીકરણ અને દ્વિપક્ષીય વાટાઘાટો અંગે વિદેશ મંત્રાલયે કહ્યું, કેભારત પારદર્શક અને પરસ્પર લાભદાયી વાતાવરણમાં બાંગ્લાદેશ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા તૈયાર છે.
હિન્દુઓનું રક્ષણ બાંગ્લાદેશની વચગાળાની સરકારની પ્રાથમિક જવાબદારી છે.
જ્યારે ભારતના વિદેશ મંત્રાલયે ઢાકામાં દુર્ગા મંદિરમાં તોડફોડની કડક નિંદા કરી હતી. ભારતે કહ્યું હતું કે ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવું એ બાંગ્લાદેશની વચગાળાની સરકારની પ્રાથમિક જવાબદારી છે.

વિદેશ મંત્રાલયનું મજબૂત વલણ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારતને માહિતી મળી હતી કે ઢાકાના ખિલખેત વિસ્તારમાં સ્થિત દુર્ગા મંદિરને ઉગ્રવાદી તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, મંદિર તોડી પાડવાની માંગણીઓ વચ્ચે, વચગાળાની સરકારે તેને ગેરકાયદેસર જમીન ઉપયોગનો કેસ ગણાવ્યો અને તોડી પાડવાની મંજૂરી આપી તે જાણીને અમને ખૂબ જ નિરાશા થઈ. આનાથી મૂર્તિને ખસેડવામાં આવે તે પહેલાં જ તેને નુકસાન થયું.
હિંદુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે
ભારતે પુનરોચ્ચાર કર્યો કે બાંગ્લાદેશમાં સતત બનતી આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે અને ત્યાં ધાર્મિક સહિષ્ણુતા પર પ્રશ્નો ઉભા કરે છે. જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુ સમુદાય, તેમની મિલકતો અને તેમના ધાર્મિક સ્થળોનું સંપૂર્ણ રક્ષણ કરવાની જવાબદારી બાંગ્લાદેશ સરકારની છે.