ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ચૂંટણીની થઈ જાહેરાત, મોહમ્મદ યૂનુસે કર્યું રાષ્ટ્ર જોગ સંબોધન…

ઢાકાઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે દેશમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. શુક્રવારે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું કે, ચૂંટણી એપ્રિલ 2026 ના પ્રથમ પખવાડિયામાં યોજાશે. ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યા પર તેમણે દેશને કરલા સંબોધનમાં જણાવ્યું, ચૂંટણી પંચ આ અંગે જલદી વિસ્તૃત રોડ મેપ શરૂ કરશે. વચગાળાની સરકારે સુધારો, ન્યાય અને ચૂંટણી એમ ત્રણ મુખ્ય ઉદ્દેશો સાથે પદભાર સંભાળ્યો હતો.

યૂનુસે શું કહ્યું
મોહમ્મદ યૂનુસે કહ્યું, ચૂંટણીનું આયોજન એપ્રિલ 2026ના પ્રથમ પખવાડિયામાં થશે. આગામી ચૂંટણી દેશના ઈતિહાસમાં સૌથી સ્વતંત્ર,નિષ્પક્ષ અને સ્વીકાર્ય બને તે માટે સરકારે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી છે. શહીદોના આત્માને સંતુષ્ટિ મળે અને રાષ્ટ્રને ઈમાનદારી તથા નિષ્પક્ષતા માટે યાદ કરવામાં આવે તેવી પ્રક્રિયા બનાવવા માંગીએ છીએ.

યૂનુસની આ જાહેરાતથી ચૂંટણીને લઈ ચાલતી અટકળો અને રાજકીય ખેંચતાણનો અંત આવ્યો હતો. ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) અને તેના સહયોગી પક્ષો ડિસેમ્બર 2025 સુધી ચૂંટણી યોજવાની માંગ કરતા હતા. જ્યારે નવગઠિત નેશનલ સિટિઝન પાર્ટી સુધારા પૂરા થયા બાદ ચૂંટણીની માંગ કરતા હતા.

2024માં શેખ હસીના દેશ છોડીને ભારત આવ્યા
2024માં બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનો થયા હતા. જે બાદ ઓગસ્ટમાં વડાં પ્રધાન શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ સરકારનો સત્તા પલટો થયો હતો. શેખ હસીના ભારત આવી ગયા હતા અને હાલ પણ ભારતમાં છે. આ પછી બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની હતી. ભારતે આ પહેલા બાંગ્લાદેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને ચૂંટણી કરાવવા આહ્વાન કર્યું હતું. ઉપરાંત પડોશી દેશ દ્વારા શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ લગાવવા પર ચિંતા વ્યક્ત કરી હતી.

આપણ વાંચો : શેખ હસીના પર કત્લેઆમના આદેશ આપવાનો ગંભીર આરોપ: માનવતા વિરુદ્ધ ગુનાનો કેસ દાખલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button