ઇઝરાયેલથી સુરક્ષિત ભારત આવી અભિનેત્રી નુસરત ભરૂચા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ઇઝરાયેલથી સુરક્ષિત ભારત આવી અભિનેત્રી નુસરત ભરૂચા

એરપોર્ટ પર ગભરાયેલી જોવા મળી

અભિનેત્રી નુસરત ભરૂચા ઇઝરાયેલથી સુરક્ષિત રીતે ભારત પરત આવી ગઇ છે. અભિનેત્રીને સુરક્ષિત જોઇને એના લાખો ફેન્સને પણ હવે શાંતિ થઇ છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઇઝરાયેલથી પરત ફરી તેનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.

વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નુસરત ભરૂચા જેવી એરપોર્ટ પર આવી કે તુરંત જ તે પાપારાઝીઓથી ઘેરાઇ ગઇ હતી. ઇઝરાયેલમાં અભિનેત્રીની શું હાલત થઇ, એ કેવી રીતે ત્યાંથી પરત ફરી, ત્યાં કેવી હાલત છે, એવા ઘણા સવાલ મીડિયા એને કરવા માગતી હતી, પરંતુ અભિનેત્રીએ કોઇ સવાલના જવાબ આપ્યા નહોતા અને આગળ વધી ગઇ હતી.

ઇઝરાયેલની યુદ્ધની પરિસ્થિતિમાંથી જાન બચાવીને ભારત પરત આવી પહોંચેલી અભિનેત્રી ઘણી ગભરાયેલી દેખાતી હતી. લાઇટ પિંક કલરના ટોપ અને ટ્રાઉઝરમાં તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. સાયરસ ભરૂચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ફેન્સ કમેન્ટ કરીને અભિનેત્રીના હાલ ચાલ પૂછી રહ્યા છે.

નુસરત ભરૂચા હાઇફા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઇઝરાયેલ ગઇ હતી. જોકે, હમાસના હુમલા બાદ અભિનેત્રી ત્યાં ફસાઇ ગઇ હતી અને તેની સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો. નુસરત ક્યાં અને કેવી હાલતમાં છે એની જાણકારી પણ એની ટીમ નહોતી મેળવી શકતી, તેથી એના પરિવારજનો અને મિત્રો સંબંધીઓ તેમ જ ફેન્સ ચિંતામાં પડી ગયા હતા. જોકે, હવે એ મુંબઇ આવી પહોંચતા બધાએ રાહતનો શ્વાસ લીધો છે.

Back to top button