ઈરાનના હુમલામાં ઈઝરાયલના 3 નાગરિકના મોત, રક્ષા મંત્રીએ કહી આ વાત

દુબઈઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ભયાનક રૂપ લઈ રહ્યો છે. ઈરાને શનિવારે સવારે ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પહેલા ઈઝરાયલે ઈરાનના ન્યુક્લિયર ઠેકાણા અને ઈરાની સેના પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે દાવો કર્યો કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતું રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચે સંઘર્ષ વધતાં વિશ્વમાં પણ ચિંતા વધી છે.
ઈઝરાયલે તેના હુમલામાં ડ્રોનનો ઉપયોગ કરયો હતો. ઈરાને મોટા જનરલો અને નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ ઈરાને ઈઝરાયલ પર આશરે 200 મિસાઈલ છોડી હતી. જેમાંથી મોટાભાગની ઈઝરાયલની એર ડિફેન્સે તોડી પાડી હતી. તેમ છતાં કેટલીક મિસાઈલ તેલ અવીવ અને જેરુસલમમાં પડી હતી. જેનાથી નુકસાન થયું હતું.
આ પણ વાંચો: ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, ઓપરેશન ટ્રુ પ્રોમિસ -3 શરૂ કર્યું
ઈઝરાયલના રક્ષા પ્રધાન કાટ્ઝે હુમલા વચ્ચે ઈરાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, જો ઈરાન ઈઝરાયલ પર મિસાઈલ છોડશે તો તેહરાન ભડકે બળશે. ઈરાનના તાનાશાહ પોતાના લોકોને બંધક બનાવી રહ્યા છે, તેની આકરી કિંમત ચૂકવવી પડશે.
તેલ અવીવીની બેલિન્સન હોસ્પિટલ મુજબ, ઈરાનના મિસાઈલ હુમલામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. જે બાદ મૃતકોની સંખ્યા ત્રણ પર પહોંચી હતી. હોસ્પિટલમાં સાત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ઈઝરાયલના ફાયર સર્વિસ મુજબ, એક મિસાઈલે તેલ અવીવમાં ઈમારતને નુકસાન પહોંચાડ્યું છે. મધ્ય ઈઝરાયલમાં મિસાઈલ હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા. ચાર મકાનને નુકસાન પહોંચ્યું હતું.