અમદાવાદના પ્રભારી પ્રધાન લાલઘૂમ:ભાજપના આગેવાનનો રીતસર ઉધડો લીધો
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. હાલમાં રાજ્યભરમાં પ્રભારીઓ સાથેની બેઠકો થઈ રહી છે. આ બેઠકોમાં માઈક્રો પ્લાનિંગ કરાઈ રહ્યું છે. ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાના પ્લાનિંગ સાથે આયોજન કર્યું છે . પાર્ટીએ દરેક બેઠક માટે પાંચ લાખની લીડ નક્કી કરી છે. આ માટે ભાજપ ઓપરેશન લોટસ પણ ચલાવી રહી છે. ગુજરાતમાં ભાજપે અન્ય પાર્ટીઓના કદાવર નેતાઓને ભાજપમાં ખેંચી લાવવા માટે એક કમિટી પણ બનાવી છે. આ સમયે જ એક એવી ઘટના ઘટી છે જે ચર્ચામાં આવી છે. ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અમદાવાદ જિલ્લાના પ્રભારી છે લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ લોકસભા બેઠકના માઇક્રો પ્લાનિંગ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોઈ કારણોસર ઋષિકેશ પટેલને બોલાવવાનું ભૂલાઈ ગયું હતું. આખરે આ અંગેની જાણ થતાં તાબડતોડ ઋષિકેશ પટેલ છેલ્લી ઘડીએ બેઠકમાં પહોંચ્યા હતા અને ભાજપના આગેવાનોને રીતસર ઉધડો લીધો હતો. જેઓને એડવાન્સમાં આ મામલે જાણ કરવા માટે પણ ટકોર કરી હતી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાની લોકસભા બેઠક માઇક્રો પ્લાનિંગ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલ ને આમંત્રણ આપવાનું જ અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ અમિત શાહ ભૂલી ગયા હતા. જેને લઈને ઉકળેલા ઋ ષિકેશ પટેલે સ્થળ પર જ ઊભરો ઠાળવી દીધો હતો અને આવી ભવિષ્યમાં ભૂલ નહીં થાય તેવી ખાતરી શાહે આપતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટનામાં ઋષિકેશ પટેલની નારાજગી યોગ્ય હતી કારણ કે જે જિલ્લાની બેઠક જીતાડવાની જવાબદારી એમના શિરે છે એ બેઠકની ચૂંટણીલક્ષી મીટિંગમાં એમની ગેરહાજરી એ દિલ્હી સુધી નોંધ લેવાયા વિના ના રહે. ભાજપની અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીના રોડ મેપને ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ બૂથ સશક્તિકરણ પર પણ ચર્ચા થશે. પાછલી બેઠકોમાં સોંપાયેલી જવાબદારીઓ ઉપર કેટલુ કામ થયું તેની પણ ચર્ચા કરાશે, પરંતુ બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના આપવામાં આવી ન હતી. પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બનતા ઘટનાની તપાસ કરવામાં આવી હતી. આખરે કેવી રીતે પ્રભારી મંત્રીને જાણ કરવાનું રહી ગયું, આ કોની ભૂલ હતી તે અંગે તપાસ કરાશે.