ગુજરાતી કેરીનો વિશ્વવ્યાપી દબદબો: કેસર કેરીની નિકાસે નવા કીર્તિમાન સ્થાપ્યા, ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરી વિદેશ પહોંચી...
આપણું ગુજરાત

ગુજરાતી કેરીનો વિશ્વવ્યાપી દબદબો: કેસર કેરીની નિકાસે નવા કીર્તિમાન સ્થાપ્યા, ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરી વિદેશ પહોંચી…

અમદાવાદ: ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે.

856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ
ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા વર્ષ 2024-25 દરમિયાન કુલ 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ 2019-20 થી 2024-25 સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, ગુજરાતની કેરીની વૈશ્વિક સ્તરે બોલબાલા અને માંગ સતત વધી રહી છે.

આ સંદર્ભે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કેસર કેરીની લોકચાહના સતત વધી રહી છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ 4.71 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી 1.77 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર એટલે કે, 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનુકૂળ આબોહવા અને જમીનની વિવિધતાના પરિણામે કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વાવેતર
કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ 2024-25 ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ 38,00 હેક્ટર,નવસારી જિલ્લામાં 34,800 ગીર સોમનાથ જિલ્લામાં 18,400 કચ્છ જિલ્લામાં 12,000 તેમજ સુરત જિલ્લામાં 10,200 વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગુજરાતની તાલાલાની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે કેસર કેરીને GI ટેગ એટલે કે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયો છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું છે.

224 મેટ્રિક ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરાયુ
અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા આ વર્ષે આશરે 224 મેટ્રિક ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે. બાવળા ખાતે સ્થિત આ ગામા રેડિયેશન યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિટ ખાતેથી આશરે ૮૦૫ મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી છે.

અગાઉ ખેડુતોને છેક મુંબઈ જવુ પડતુ હતુ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેરી જેવા ફળોનો નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. રાજ્ય સરકાર દ્વારા આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવે છે અને તેનો નિકાસ કરીને તેમના ફળનો ઉત્તમ ભાવ મેળવી રહ્યા છે.

કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા અમદાવાદ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવા ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્લેક્ષ સહિતની ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એમાં પણ USDA-APHISની મંજૂરી મળવાના કારણે હવે આ ત્રણેય સુવિધાઓનાં સંયોજિત ઉપયોગથી કેરી અને દાડમની ગુણવત્તાની જાણવણી, બગાડનો અટકાવ તથા પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળવાનો શરુ થયો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button