અંબાજીમાં જે પણ હેલિકોપ્ટર લઇને આવ્યા, તેમની સત્તા ગઇ, તો PM કઇરીતે આવે છે અંબાજી?
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Ambaji-Temple--780x470.jpg)
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સતત પોલીસ ખડેપગે છે. અંબાજી જાણે પોલીસ છાવણીમાં જ ફેરવાઇ ગયું છે, વહીવટી તંત્ર પણ વડા પ્રધાનને આવકારવા માટે સજ્જ છે. પીએમના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે અંબાજીથી 4 કિમી દૂર ચીખલા ખાતે હેલિપેડ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે એક પ્રચલિત માન્યતા ચર્ચાઇ રહી છે કે અંબાજીમાં સીધા જ જો નેતાઓ હેલિકોપ્ટરથી લેન્ડ થાય તો તેમની સત્તા ટકતી નથી.
જેટલા પણ નેતાઓએ ભૂતકાળમાં હેલિકોપ્ટરથી લેન્ડ થયા છે તેમાં અમરસિંહ ચૌધરી, ચીમનભાઇ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખનો સમાવેશ થાય છે. હવે આટલું વાંચીને તમને સવાલ થયો હશે કે આ વાતમાં કોઇ તથ્ય છે ખરું? પણ આ રાજકારણ છે, અને અહીં ટકવા માટે ભલભલી વાર્તાઓ પણ હકીકત બનાવી દેવાય છે અને ભલભલી અફવા પણ સત્ય બની જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત નથી. ગત વર્ષે પણ તેઓ અંબાજી પધાર્યા હતા અને એ વખતે તેઓ હેલિકોપ્ટરથી પહેલા અંબાજીથી 35 કિમી દૂર આવેલા વડગામ તાલુકાના હાંતાવાડામાં ઉતર્યા હતા અને ત્યાંથી કારમાં અંબાજી પહોંચ્યા હતા, ત્યારે આ વખતે પણ તેઓ પહેલા ચીખલા ખાતે તેમના હેલિકોપ્ટરથી લેન્ડ કરશે અને તે પછી બાય રોડ અંબાજી જશે.
ચીખલા હેલિપેડ પર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 4 પાયલટ દ્વારા સતત હેલિકોપ્ટરના લેન્ડિંગની મોકડ્રીલ કરવામાં આવી રહી છે. SPG માટે 30 થી વધુ પોલીસનો કાફલો પણ ખડકાયો છે.