વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન બન્યા વિજય રૂપાણી, જાણો વિગત

રાજકોટઃ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલું બોઈંગનું 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન ટેકઓફની થોડી જ સેકંડોમાં એરપોર્ટથી થોડે દૂર આવેલા મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 240થી વધુ મુસાફરોના મોત થયા હતા. આ ઘટના પછી દુનિયાભરના નેતાઓએ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃત્યુ પામેલાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા. તેમનું પણ મોત થયું હતું. વિજય રૂપાણી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન બન્યા હતા. આ પહેલા 1965માં બળવંતરાય મહેતાનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું.
1965માં બળવંતરાય મહેતાનું થયું હતું મોત
ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું 1965માં વિમાન દુર્ઘટનાાં મોત થયું હતું. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. આ દરમિયાન 19 સપ્ટેમ્બર, 1965ના રોજ બળવંતરાય મહેતા પોતાન ચાર સાથીઓની સાથે હેલિકોપ્ટરમાં સવાર થઈને મીઠાપુરથી કચ્છના રણ જઈ રહ્યા હતા. મુખ્ય પ્રધાન બળવંતરાયનું હેલિકોપ્ટર રનવેની પાસે પહોંચ્યું, ત્યારે પાકિસ્તાની ફાઇટર પ્લેને હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાન સહિત તમામ પાંચ લોકોના મોત થયા હતા. જો કે, બાદમાં પાકિસ્તાની લડાકૂ વિમાન ઉડાવનારા કૈશ હુસેને પોતાની આ નાપાક હરકત માટે માફી પણ માગી હતી.
માત્ર ગુજરાતના જ નહીં દેશના પણ કેટલાક મુખ્ય પ્રધાન તથા નેતાના પ્લેન દુર્ઘટનામાં મોત થયા હતા. કોંગ્રેસ નેતા માધવરાય સિંધિયા, સંજય ગાંધીનું પણ હવાઈ દુર્ઘટનામાં મોત થયું હતું.
વાય.એસ. રાજશેખર રેડ્ડીઃ આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન વાય.એસ. રાજશેખર રેડ્ડી સરકારી હેલિકોપ્ટર બેલ 430 દ્વારા હૈદરાબાદથી ચિત્તૂર જિલ્લાના એક કાર્યક્રમ માટે ઉડાન ભરી રહ્યા હતા. હવાઈ યાત્રા દરમિયાન તેમના હેલિકોપ્ટરનો સંપર્ક રડારથી તૂટી ગયો હતો. ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર નલ્લામલ્લાના ગાઢ જંગલોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં વાય.એસ.આર. સહિત તમામ પાંચેય સવારોનું નિધન થયું હતું. લગભગ 24 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ કાટમાળ અને મૃતદેહો મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં તેમની સાથે પાયલટ, કો-પાયલટ, એક મુખ્ય સચિવ અને એક સુરક્ષા અધિકારીનું પણ મૃત્યુ થયું.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત…
દોરજી ખાંડુઃ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન દોરજી ખાંડુ પવન હંસ AS350 B3 હેલિકોપ્ટરમાં તવાંગથી ઇટાનગરની ઉડાન ભરી રહ્યા હતા. ઉડાનના લગભગ 20 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર 13 હજાર ફૂટની ઊંચાઈ પર સેલા પાસની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. લગભગ ચાર દિવસ પછી, 4 મે 2011 ના રોજ કાટમાળ અને તમામ 5 મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં મુખ્ય પ્રધાન, બે પાયલટ, સુરક્ષા અધિકારી અને એક અન્ય વ્યક્તિ સામેલ હતા.