વડોદરામાં 2 દિવસમાં આટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Vadodara: ભારે વરસાદ બાદ આજવા સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ઘુસી જતા પુરની સ્થિતિ સર્જાઈ (Vadodara Flood) હતી, હવે શહેરમાંથી પાણી ઓસરી ગયા છે. આ દરમિયાન શહેરમાં ઘણા મગરો (Crocodiles) જોવા મળ્યા હતા, જે દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ 27 થી 29 ઓગસ્ટ દરમિયાન વડોદરાના રહેણાંક વિસ્તારોમાંથી કુલ 24 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
વન વિભાગના અધિકારી જણાવ્યું કે “અમે રેસ્ક્યુ કરેલો સૌથી નાનો મગર બે ફૂટ લાંબો હતો, જ્યારે સૌથી મોટો 14 ફૂટ લાંબો મગર ગુરુવારે નદી કિનારે આવેલા કામનાથ નગરમાંથી પકડાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ અમને આ વિશાળ મગર વિશે જાણકારી આપી હતી. ગુરુવારે EME સર્કલ અને MS યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગની નજીકના ખુલ્લા વિસ્તારમાંથી 11 ફૂટ લાંબા અન્ય બે મગરોને પણ રેસ્ક્યુ કરાયા હતા.”
24 મગર ઉપરાંત, વિભાગે આ ત્રણ દિવસમાં સાપ, કોબ્રા, લગભગ 40 કિલોગ્રામ વજનના પાંચ મોટા કાચબા અને એક શાહુડી સહિત 75 પ્રાણીઓનું રેસ્ક્યુ કર્યું હતું. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી બચાવી લેવાયેલા મગર અને અન્ય સરિસૃપને ફરીથી નદીમાં છોડવામાં આવશે.
વડોદરાના રીજીઓનલ ફોરેસ્ટ ઓફિસરે (RFO) એ જણાવ્યું હતું કે મગરે માણસો પર હુમલો કર્યો હોવાની કોઈ ઘટના નોંધાઈ નથી. સામાન્ય રીતે, મગર માણસો પર હુમલો કરતા નથી. નદીમાં, તેઓ માછલીઓ અને પ્રાણીઓના શબ પર જીવે છે. તેઓ કૂતરા, ડુક્કર અથવા અન્ય કોઈપણ નાના પ્રાણીને મારી શકે છે અને ખાઈ શકે છે.
વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી લગભગ 440 મગરોનું ઘર છે અને આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે રહેણાંક વિસ્તારોમાં પૂર આવ્યું છે. જેને કારણે નદીમાંથી મગરો નદીના પટની નજીકના વિસ્તારોમાં ઘુસી ગયા હતા.
Also Read –