
વિસાવદરઃ ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ફોર્મ ભર્યું હતું. ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભરતાં પહેલાં વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આશીર્વાદ યાત્રા યોજી હતી. આપની જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદર વાસીઓને સંબોધ્યા હતા.
કેજરીવાલે જણાવ્યું કે, 18 વર્ષથી તમે ભાજપને વિસાવદરમાં ઘૂસવા નથી દીધું. ગુજરાતમાં એની સરકાર છે પણ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલાં તમે કોંગ્રેસને વોટ આપ્યો પછી અમને સ્પોર્ટ કર્યો. પણ ભાજપે બદમાસી કરી પહેલાં કોંગ્રેસના હર્ષદ રિબડિયાને ખરીદી લીધા અને પછી દુર્ગાભ્ય પૂર્ણ અમારા ભૂપત ભાયાણીને પણ ખરીદી લીધા. હવે ફરી તમારે જવાબ આપવાનો છે.
અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે ‘ભાજપ કહે છે કે વિસાવદરવાસીઓ તમારી મરજી હોય તેને જીતાડો, અમે તેને ખરીદી લઇશું. તો આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે પણ અમારો હિરા જેવો સભ્ય ઉભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવે, કેજરીવાલ રાજકારણ છોડી દેશે.
ગોપાલ ઇટાલિયાને એટલી ભારે બહુમતિથી જીતાડજો કે ભાજપને તમાચો લાગવો જોઇએ. ભાજપની જેમ કોંગ્રેસ પણ એક નંબરની ચાલાક છે. એ ભાજપની જ નોકરી કરે છે, કોંગ્રેસ ભાજપના જ ખીસ્સામાં બેઠી છે. વર્ષ 2022માં ચૂંટણી થઇ એમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા, એમાં એક અમારો સિક્કો પણ ખોટો નીકળ્યો ને ભાજપમાં જોડાઇ ગયો. કોંગ્રેસ અમારી જોડે આવીને બોલી જ્યાંથી અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં તમે ઉમેદવાર ઉભો ન રાખો.
આ ઉપરાંત કેજરીવાલે કહ્યું, અમારો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભષ્ટાચારીઓ સામે લડે છે. કોઇનાથી ડરતો નથી. મોટા મોટા ભષ્ટાચારીઓની ઐસી તૈસી કરી નાખે છે. ગોપાલ ઇટાલિયા તમારા માટે કાયમી લડતો રહેશે. ગોપાલ વિસાવદર માટે જ નહીં આખા ગુજરાત માટે લડશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયાને તમારે ભારે બહુમતથી જીતાડવાના છે અને વિધાનસભામાં પહોંચડાવાના છે. ગોપાલ તમારા પ્રશ્નો માટે ભાજપને હંફાવી દેશે. વિધાનસભામાં જઇને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. હું તમારો ઉત્સાહ જોઇ રહ્યો છું તમે આટલી ગરમીમાં પણ ગોપાલભાઇને સપોર્ટ કરવા ઉભા છો.
ઉલ્લેખનીય છે કે આજે અરવિંદ કેજરીવાલના સંબોધનની શરૂઆત કરતાં પહેલાં જનમેદનીમાંથી કોઇએ આઇ લવ યુ કહેતાં અરવિંદ કેજરીવાલે આઇ લવ યુ….ટુ…થ્રી.. ફોર કહ્યું વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું હતું. અરવિંદ કેજરીવાલે વિસાવદરવાસીઓને પ્રેમને આવકાર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.
આપણ વાંચો : કડી-વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે…