મહેસાણામાં રસ્તો પૂછવાના બહાને નાગાબાવાએ ખેડૂતના 84 હજાર પડાવ્યાં

મહેસાણાઃ જિલ્લામાં નાગાબાવાએ રસ્તો પૂછવાના બહાને ખેડૂત પાસથી 84,000 રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, ઉનાવા એપીએમસીમાં ખેત પેદાશ વેચીને ખેડૂત ઘરે જતો હતો ત્યારે નાગાબાવા સહિત બે લોકોએ ખેડૂતને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખ્યો હતો અને તેની પાસેના રૂ. 84 હજાર લઈ નાસી છૂટ્યા હતા.
એરંડા વેચીને પરત ફરતો હતો ખેડૂત
ઊંઝાના લક્ષ્મીપુરા ગામના અમૃતલાલ ત્રિભોવનદાસ પટેલ ઉનાવા એપીએમસીમાં એરંડા વેચીને મહેસાણા હાઈવે પર બાઈક લઈને ઘરે આવતા હતા. અઠૌર ચોકડી પાસે ઉનાવા તરફથી આવેલી એક કારમાં બેઠેલા બે શખ્સોએ તેમને ઉભા રહેવાનો ઈશારો કરતાં તેમણે બાઈક ઊભું રાખ્યું હતું.
આ પણ વાંચો કમોસમી વરસાદમાં 21ના મોતઃ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની વકી
આ રીતે ખેડૂતને લીધો વિશ્વાસમાં
ડ્રાઇવરની સીટની બાજુમાં બેઠેલા નાગાબાવાએ ઊંઝા તરફ જવાનો રસ્તો પૂછતાં તેમણે હું અમદાવાદ રહું છું તેમ કહ્યું હતું. જેથી નાગાબાવાએ તમારે ત્રણ સંતાન છે, પરિવારનું ભલું થશે, તમારી પાસે ખિસ્સામાં રહેલા રૂપિયા કોઈ વસ્તુ વેચીને આવ્યા છો તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. જે બાદ નાગાબાવાએ તેમની પાસેના રૂપિયા આપવાનું કહેતા તેમણે ખિસ્સામાં રહેલા 84,000 બાવાને આપ્યા હતા. બાવાએ તેમને નજીકમાંથી આંકડાના બે ફૂલ લઈને આવવાનું કહેતા તેઓ બાઈક પરથી નીચે ઉતરીને ફૂલ લેવા જતાં શખ્સો કાર લઈને નાસી છૂટ્યા હતા. જેથી તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખબર પડતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.