ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓમાં સરકાર ચલાવશે ‘આદિ કર્મયોગી અભિયાન’, જાણો શું છે હેતુ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓમાં સરકાર ચલાવશે ‘આદિ કર્મયોગી અભિયાન’, જાણો શું છે હેતુ

ગાંધીનગરઃ ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં સરકાર આદિ કર્મયોગી અભિયાન ચલાવશે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે

આદિજાતિ વિકાસ પ્રધાન ડૉ. કુબેર ડિંડોરે અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે, જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે. આ અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે.” આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે. આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમ, પ્રધાને કહ્યું હતું.

ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આદિ કર્મયોગી કાર્યક્રમમાં વડાપ્રધાનની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય છે. આ અભિયાન વડા પ્રધાનના દુરંદેશી નેતૃત્વનું પરિણામ છે. PM-JANMAN અને DA-JGUA આદિ કર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે. આ અભિયાનમાં ભારત દેશના ૦૧ લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં આ કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે તેમ, પ્રધાન ડિંડોરે ઉમેર્યું હતું.

અભિયાનના મુખ્ય હેતુઓ

• પ્રતિભાવશીલ, પારદર્શક અને જવાબદાર શાસનને પ્રોત્સાહન આપવું.
• નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બનાવવું.
• સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવી.
• રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવું.
• વિકસિત ભારત@2047 માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવા.
• વસવાટ (habitation) થી રાજ્ય સુધી બહુસ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવું.
• કન્વર્ઝન્સ દ્વારા છેલ્લા માઈલ ડીલેવરી સુનિશ્ચિત કરવી (PM-JANMAN, Dharti Aaba Abhiyan, Sickle Cell Mission, EMRS, scholarships)

આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાનને PM-JANMAN, DA-JGUA, રાષ્ટ્રીય સિકલ સેલ નાબૂદી અભિયાન, EMRS વિસ્તરણ અને શિષ્યવૃત્તિ વગેરે યોજનાઓનું એકીકરણ કરી રાષ્ટ્રીય મિશન સાથે સુમેળ સાધવાનો છે. આ અભિયાનમાં આદિજાતિ વિકાસ વિભાગ સાથે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટોને પણ સાંકળવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, તેમજ ડ્રીન્કિંગ વોટર અને સેનિટેશન વિભાગનો સમાવેશ થાય છે.

પ્રધાન હળપતિએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ૦૩ કેડરની કેટેગરી પાડવામાં આવી છે, જેમાં (1) આદી કર્મયોગી, (2) આદિ સહયોગી અને (3) આદિ સાથીનો સમાવેશ થાય છે. જેમાં (1) આદિ કર્મયોગીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ, (2) આદિ સહયોગીમાં યુવા નેતાઓ, શિક્ષકો, ડોક્ટરો, સમાજ કાર્યકરો અને (3) આદિ સાથીમાં આદિવાસી નેતા, આદિવાસી વૈદુ ભગતો, SHGsના સભ્યો, આંગણવાડી કાર્યકર, વોલેન્ટિયર વગેરેને અનુક્રમે રાજ્ય, જિલ્લા અને તાલુકો સ્તરે તાલીમ આપીને આદિવાસી લોકોમાં ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકસાવવાનો છે.

પ્રધાને કહ્યું હતું કે, આ કાર્યક્રમ આદિ કર્મયોગીથી આદિ સહયોગી અને આદિ સહયોગીથી આદિ સાથી સુધી પહોંચવાનો છે. આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા પછાત અને ગરીબ લોકોને સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તે માટે ગ્રામ્ય કક્ષાએ વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એકશન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે, આ આયોજન નીચેથી ઉપર જશે. ગ્રામીણ કક્ષાએ એક આદિ સેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવશે અને સ્થાનિક આદિવાસી લોકોની જરૂરિયાતો અને પ્રશ્નો સમજવામાં આવશે અને તેના ઉકેલો પણ સ્થાનિક કક્ષાએથી મળે તે મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો…ગુજરાત સરકારના આ નિર્ણયથી ૧.૭૫ કરોડ ગ્રાહકોને થશે રૂ. ૪૦૦ કરોડનો લાભ, જાણો વિગત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button