રાજ્યમાં ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે

ગાંધીનગરઃ રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે. આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ બે એક્સપ્રેસ વે છે : (અ) નમોશક્તિ અને (બ) સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે. અંદાજિત ₹ 36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકાની આસપાસના વિસ્તારો માટે ની કનેક્ટિવિટી સુગમ બનશે.
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ બંદરો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગુજરાતને ભારતના અન્ય પ્રદેશો સાથે પણ મજબૂતી સાથે જોડશે. આ કનેક્ટિવિટી શરૂ થવાથી ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે અને પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
આપણ વાંચો: Gujarat સરકારે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા 467.50 કરોડની ફાળવણી કરી
અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ-વે ધોલેરા-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરના ઇન્ફ્લુઅન્સ એરિયામાંથી પસાર થાય છે. પરિણામે અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ વે એક મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે ઉભરી આવશે. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા વધવાથી સાણંદના સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રને ફાયદો થશે.
આ કનેક્ટિવિટીથી રાજકોટના ટૂલ્સ અને મશીન ઉપકરણોનું ઉત્પાદન કરતા એકમોને પણ ફાયદો થશે. સુરેન્દ્રનગરમાં એમએસએમઈને આ મુખ્ય શહેરો સાથે સુગમ જોડાણ મળશે. તે સિવાય ઉત્તર ગુજરાતમાં પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં કૃષિ સંબંધિત વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
આ બન્ને એક્સપ્રેસ વે એક અભૂતપૂર્વ રોડ નેટવર્કનું નિર્માણ કરશે જેનો ફાયદો રાજ્યના 13 જિલ્લાને થશે. બન્ને એક્સપ્રેસ વે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાંથી પસાર થશે અને રાજ્યની આશરે 45 ટકા વસ્તીને તેનો ફાયદો મળશે. આ 13 જિલ્લા કેન્દ્રોમાંથી આ એક્સપ્રેસ વે પર પહોંચવા માટે એક કલાક કરતા પણ ઓછો સમય લાગશે.
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળો સુધી સીમલેસ જોડાણ પ્રદાન કરશે. તેમાં અંબાજી, ધરોઇ, પોળોના જંગલ, મોઢેરા, બેચરાજી, જામનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ જેવા સ્થળો ને સુધી સીધું જોડાણ મળશે. તે સિવાય માંડલ વિશેષ રોકાણક્ષેત્ર, બાવળા, સાણંદ, રાજકોટ-શાપર, પોરબંદર-કોડીનાર તેમજ ધોલેરા જેવા ઔદ્યોગિક ક્ષેત્રો સુધીની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. આ બે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં એક ભવ્ય રોડ નેવટર્કનું નિર્માણ થશે અને નાગરિકોને 8,000 કિ.મીથી વધુના 4-6 લેન હાઇવે ઉપલબ્ધ થશે.