
ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે નિવાસી કલેકટર અને અધિક કલેકટર સાથે વી. સી.ના માધ્યમથી વિભાગીય અગત્યની કામગીરીનો રિવ્યુ લેવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતા અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજયમાં જૂની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરીની ઝુંબેશના ભાગરુપે અત્યાર સુધી ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે અને સતત રિવ્યુ કરીને આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
રાજયના જિલ્લાઓ ખાતેના અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનો વી.સી.માં રિવ્યુ લેવામાં આવ્યો હતો, જેમાં દૂર કરવામાં આવેલ અને રી-લોકેટ કરવામાં આવેલ ધાર્મિક બાંધકામોની કામગીરીની સમીક્ષા કરીને બાકીના અનધિકૃત ધાર્મિક બાંધકામો નિયત પ્રક્રિયા અનુસરીને દૂર કરવા અને રિ-લોકેટ કરવાની કામગીરી ઝડપથી પૂરી કરવા ગૃહ સચિવ નિપુર્ણા તોરવણે દ્વારા કલેકટરોને સૂચના આપવામાં આવી હતી. આ બાબતે જિલ્લાતંત્ર દ્વારા જરુરી સહયોગ ગૃહ વિભાગને મળી રહે તે માટે ડો. રવિ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન અને અન્ય મહેસૂલી ભવનોના બાંધકામ ટાઇપ ડિઝાઇન મુજબ જ થાય તેમ જ જમીન ફાળવણીની કામગીરી પણ માપણીની કામગીરી સમયસર પૂર્ણ કરીને ઝડપથી કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગના પરામર્શમાં જરુરી સૂચનાઓ કલેકટરને આપવામાં આવી હતી.