અંત્યોદય અને NFSA લાભાર્થીઓને આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ 1લી નવેમ્બરથી કરવામાં આવશે | મુંબઈ સમાચાર
ગાંધીનગર

અંત્યોદય અને NFSA લાભાર્થીઓને આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ 1લી નવેમ્બરથી કરવામાં આવશે


ગાંધીનગરઃ 1લી નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનવાળાઓએ પડતર માગણીને ધ્યાનમાં રાખી હડતાળ પર જવાનું જાહેર કર્યું છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે એક અખબારી યાદી પાઠવી છે. તે અનુસાર લોકોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે.

નવેમ્બર-૨૦૨૫ માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે ૭૫ લાખથી વધુ કુટુંબોની ૩.૨૫ કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનાં ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે. જે અંતર્ગત વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થનાર છે.

કમિશનની ચૂકવણી સમયસર
વાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે બાબતે તેઓ દ્વારા અનાજનાં જથ્થાનાં વિતરણ સંદર્ભે વિવિધ કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમનાં ભાગરૂપે રૂ.૨૦,૦૦૦ વાજબી ભાવની દુકાનનાં સંચાલકશ્રીનાં બેંકખાતામાં નિયમિત પણે દર માસે ચુકવવામાં આવે છે. આ રૂ.૨૦,૦૦૦ કમિશનની તફાવતની રકમનો સમગ્ર ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજયમાં જ મિનિમમ રૂ.૨૦,૦૦૦ કમિશનની રકમ વાજબી ભાવના દુકાનદારોને ચુકવવામાં આવે છે. કમિશનની તમામ વિગતો વાજબી ભાવની દુકાનદારનાં લોગ ઇનમાં e-passbookમાં ઉપલબ્ધ છે. હાલની તેઓની મિનિમમ કમિશન રૂ.૩૦,૦૦૦ પ્રતિમાસની જે માંગણી છે તે નિતિ વિષયક છે.

વાજબી ભાવની દુકાનદારોને મળતા વિવિધ કમિશનનું ચુકવણું દર માસે નિયમિતપણે સમયસર કરવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી તમામ કમિશનની રકમનાં ચુકવણાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે, તેમ સરકાર જણાવે છે.

વાજબી ભાવની દુકાનદાર દ્વારા જે પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવે છે તે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા જે માંગણીઓ રજુ કરવામાં આવેલ છે. તે પૈકી ઘણી માંગણીઓ નિતિ વિષયક છે. જે રાજય સરકારનાં વિચારણા હેઠળ છે. અનાજનાં જથ્થાનાં વિતરણથી અળગા રહેવા બાબત આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી રેશનકાર્ડધારકોને વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી. જે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.

તાજેતરમાં વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીનાં માધ્યમથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો પહોંચે તે બાબતે સરકારની સૂચના અનુસાર ગ્રામ્ય તકેદારી સમિતિ અથવા શહેરી તકેદારી સમિતિનાં સભ્યોનાં બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે ૮૦% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કાર્યવાહી થાય તેમ ઠરાવ થયો છે. જે અંતર્ગત યોજાયેલી બેઠક અંતર્ગત ઠરાવનાં તબક્કામાં જરૂરી પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ છે. જે પૈકી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી ઓછા માં ઓછાં ૫૦% સભ્યોનાં બાયોમેટ્રિક/ઓ.ટી.પી બેઇઝડ વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે લેવાનાં રહેશે એમ નાયબ નિયામક,અન્ન નાગરિક પુરવઠા કચેરી,ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.

આપણ વાંચો:  મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિધાનસભા ખાતે સરદારની પ્રતીમાને પુષ્પો અર્પણ કર્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button