ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, 9 દિવસમાં 423 આરોપીઓ ઝડપ્યા

ગાંધીનગરઃ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સાઇબર ક્રાઇમને ડામવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસનું યુનિક પોલિસિંગ છે. આ વિસ્તારમાં શહેરી વસાહતો પણ આવેલી છે તો અંતરિયાળ ગામડાંઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ હડપ્પન સંસ્કૃતિ ધરાવતી વિરાસતો છે તો બીજી તરફ ઔદ્યોગિક એકમો પણ મોટી સંખ્યામાં આવેલા છે. નાગરિકોની સેવા અને સુવિધા માટે જે વિવિધ પ્રકલ્પો શરૂ કરાયા છે, તેના માટે સમગ્ર અમદાવાદ ગ્રામ્ય પોલીસને અભિનંદન પાઠવું છું. જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ રોલમૉડલ તરીકે આગળ વધશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ આવ્યું છે અને ઉદ્યોગો સ્થપાતા હજારો લોકોને રોજગારી મળી છે. આ વિકાસને કારણે સામાન્ય લોકોનાં સપનાં હતાં, એ સાકાર થઈ શક્યાં છે. ઔદ્યોગિક શાંતિ બાબતે પણ પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મ્યૂલ – શંકાસ્પદ એકાઉન્ટ મુદ્દે શું બોલ્યા સંઘવી
સાઇબર ક્રાઇમના અપરાધીઓ જે બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે, એવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એવું જણાવીને સંઘવીએ ઉમેર્યું હતું કે ગત આઠ ડિસેમ્બરે નક્કી થયું અને મ્યૂલ – શંકાસ્પદ એકાઉન્ટ ઓળખી કાઢવા માટે પોલીસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયંન અને માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ
હર્ષ સંઘવીએ સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું. પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈએ, પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે, એવું તેમણે ઉમેર્યું હતું.
શું છે એડીઆર-શિલ્ડ પ્રોજેક્ટ
એડીઆર-શિલ્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં સંઘવીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર દેશમાંથી આવનાર શ્રમિકનો ડેટા એક પોર્ટલ પર આવશે, જેથી રોજગારીની આડમાં અહીં રહેતા ગુનેગારોને ઓળખી શકાશે. અભયયાત્રી જેવા પ્રોજેક્ટથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે, એવું તેમણે ઉમેર્યું હતું. પોલીસ કર્મીઓના ડેટા માટે એચઆરએમએસની પહેલને તેમણે બિરદાવી હતી.
હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. આ યુવાનો માટે કોચ તેમજ ફિજિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે, એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ જેવી કામગીરી માટે ગુજરાત પોલીસની ભરપૂર પ્રશંસા કરી હતી અને આજે લોકોને ખોવાયેલી-ચોરી થયેલી વસ્તુઓ પોલીસના સહકારથી વહેલી તકે મળવા લાગી છે, એનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સાયબર ક્રાઇમ અંગે ગુજરાત પોલીસની કામગીરીની વાત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ એક જ દિવસમાં આપણે સાઇબર ગઠિયાઓ પાસેથી રૂ. 33 કરોડ પાછા મેળવી શક્યા છીએ. આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા, જેમાં 3000થી વધુ લોકોએ હેલ્પલાઇન 1930 પર કૉલ કરતાં તેમને સાઇબર ગઠિયાઓથી બચાવ લેવાયા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના પાંચ શૂટર્સની ધરપકડ



