ગાંધીનગર

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ

માર્ચ’ ૨૦૨૭ સુધીમાં ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦ લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નક્કી

ગાંધીનગરઃ દર વર્ષે તા. ૧૪ ડિસેમ્બરે ગુજરાત સહિત વિશ્વભર માં ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ બાબતે કરેલી કામગીરી અંગે ઊર્જા પ્રધાન ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સોલાર ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વીજળીના સતત વધી રહેલા વપરાશ અને ભાવિ માંગને પહોંચી વળવા તૈયાર છે.

ગુજરાતે ‘પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક ક્રાંતિકારી પહેલ કરી છે. વડા પ્રધાન દ્વારા શરુ કરેલ પી.એમ. સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં દેશમાં ૨૫ ટકાના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે છે તેમ પ્રધાને જણાવ્યું હતું.

૧૦ લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય

વધુમાં પ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતે આગામી વર્ષ-૨૦૨૭ સુધીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦ લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ગુજરાતે અત્યારે સુધીમાં આ યોજના હેઠળ કુલ ૧૮૮૬ મેગાવોટ સોલર ક્ષમતાની ૪.૯૬ લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપન કરેલ છે જે રાજ્યના લક્ષ્યાંકના ૪૯ ટકાથી વધુ છે જે એક મહત્વની સિદ્ધિ છે.

વધુમાં ઊર્જા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની કામગીરીની સમીક્ષા માટે રાજ્ય કક્ષાની સંકલન બેઠક બોલાવવામાં આવે છે. જેમાં રાજ્યમાં ચાલી રહેલ યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે. રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, ૬ કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.૨૯૫૦ની સહાય તથા ૬ કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે, આજે ગુજરાત સોલાર રૂફ્ટોપક્ષેત્રે ૨૭%ના યોગદાન સાથે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં રહેણાંક તથા બિન રહેણાંક ક્ષેત્રે સાથે સંકલિત કુલ ૬૩૧૫ મેગાવોટ સોલાર સિસ્ટમોનું સ્થાપન થયેલ છે. જે થકી દર વર્ષે ૯૩૮૬ મિલિયન યુનિટ ઇલેક્ટ્રિસીટી ઉત્પન થશે. જેના પરિણામ સ્વરૂપે દર વર્ષે ૬.૩૮ મિલિયન મેટ્રિક ટન કોલસાની બચત થશે , ૮.૩૩ મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે.

સિદ્ધિઓ હાંસલ થવાના મુખ્ય પરિબળો

રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની સશક્ત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ છે. ગુજરાતે ગ્રાહકોને મુખ્ય હિસ્સેદાર તરીકે ગણીને ગ્રાહક-પ્રથમ અભિગમ અપનાવ્યો છે. ગુજરાત એક નીતિ આધારિત રાજ્ય છે. જ્યાં સોલાર પોલિસી હેઠળ નેટ મીટરિંગનો અમલ કરવામાં આવે છે. રાજ્યમાં રહેણાંકક્ષેત્રે સોલાર સ્થાપના માટે લોડની કોઈ મર્યાદા નથી. નાગરિકો માટે ઘરે ઉત્પન્ન થતી વધારાની વીજળીની વેચાણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સોલર સિસ્ટમ ધરાવનાર રહેણાંક વપરાશકર્તાઓને બેંકિંગ શુલ્ક ચૂકવવો પડતો નથી. નાગરિકોને કોઈ પણ પ્રકાર પરેશાની વગર સરળતાથી સોલાર રૂફ્ટોપ યોજનાનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકારે દરેક બાબતોનું ધ્યાન આપી રહી છે.

આ પણ વાંચો…સોલર રૂફટોપ ક્રાંતિ: પીએમ સૂર્ય ઘર યોજનામાં 27 ટકા હિસ્સા સાથે ગુજરાત દેશમાં મોખરે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button