પીએમ મોદી શનિવારે સોમનાથની મુલાકાતે, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે સોમનાથ ખાતે આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય “સોમનાથ સ્વાભિમાન પર્વ” ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે પીએમ મોદી 10 મી જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે સોમનાથ આવશે. વડાપ્રધાન 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે.
તેમજ પીએમ મોદી દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.
આ પણ વાંચો : PM Modi શનિવારે સોમનાથની મુલાકાતેઃ 1,000 વર્ષના ઈતિહાસ અને સ્વાભિમાન પર્વની ઉજવણી…
3000 ડ્રોનનો મેગા શો યોજાશે
આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. આ ઉપરાંત સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા “શંખ સર્કલ” થી શરૂ થઈ “હમીરજી ગોહિલ સર્કલ” સુધી નીકળશે.
જય સોમનાથ
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 7, 2026
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે.
જે અંતર્ગત, સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે. ભારતના પ્રમુખ તીર્થો પણ તેમાં જોડાશે.
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી… pic.twitter.com/09haYYyhYF
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ
મંત્રીએ જણાવ્યું હતું કે, આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ “ડબલ સંયોગ” ના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : “સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન” સોમનાથ પર ગઝનવી આક્રમણના 1000 વર્ષ પર પીએમ મોદીનો બ્લોગ
72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે
આ ઉપરાંત સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ 1000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત સોમનાથ કોરિડોરને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.



