Top Newsગાંધીનગર

પીએમ મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિરના મેટ્રો રૂટ સહિત 7 સ્ટેશનોનું લોકાર્પણ કર્યું…

ગાંધીનગર : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા શરૂ થતા હવે અમદાવાદથી ગાંધીનગરના અક્ષરધામ સુધી સીધા જઈ શકાશે. વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થનાર સચિવાલયથી મહાત્મા મંદિરના મેટ્રો ફેઝ-2 હેઠળ કુલ 28.2 કિમીનો રૂટ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 22 સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹5,384 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અક્ષરધામ અને દાંડી કુટીરની મુલાકાતે આવતા પ્રવાસીઓને સરળતા

આ લોકાર્પણ બાદ અમદાવાદ મેટ્રોનું કુલ નેટવર્ક વધીને 68 કિમી થઈ જશે. નવા શરૂ થનારા 7 સ્ટેશનોમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10A, સચિવાલયનો સમાવેશ થાય છે. આ નવા રૂટના લોકાર્પણ બાદ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સાથે જ અક્ષરધામ અને દાંડી કુટીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સીધા મેટ્રો મારફતે ગાંધીનગર પહોંચી શકશે. આ ઉપરાંત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે વોક-વેથી જોડવામાં આવશે, જેથી ટ્રેન મારફતે આવતા મુસાફરો સરળતાથી મેટ્રોનો લાભ લઈ શકશે.

મહાત્મા મંદિર સ્ટેશન આ રૂટનું અંતિમ સ્ટેશન

મહાત્મા મંદિર સ્ટેશન આ રૂટનું અંતિમ સ્ટેશન ગાંધીનગરના મહત્વના લેન્ડમાર્ક સમાન છે. અહીં ઉતર્યાની થોડી જ મિનિટોમાં મુસાફરો મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, દાંડી કુટીર મ્યુઝિયમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સંકુલ સુધી પહોંચી શકશે. આંતરરાષ્ટ્રીય સમિટ અને મોટા કાર્યક્રમો માટે આવતા લોકો માટે આ સ્ટેશન પ્રવેશદ્વાર સમાન બની રહેશે.

વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી રહેશે

સેક્ટર-24 સ્ટેશન વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી રહેશે. અહીં VPMP પોલીટેકનિક, LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ITI (સેક્ટર-15) અને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) જેવી મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આ સ્ટેશન શરૂ થવાથી વિદ્યાર્થીઓની દૈનિક મુસાફરી સરળ અને ઝડપી બનશે. આ સ્ટેશન સેક્ટર 16, 22 અને 23 ના રહેણાંક વિસ્તારો માટે મહત્વનું છે. અહીં સ્વામિનારાયણ ગુરુકુળ નજીક હોવાથી વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. જે પરિવારો અત્યાર સુધી બસ કે ટુ-વ્હીલર પર નિર્ભર હતા, તેઓ હવે મેટ્રો દ્વારા શહેરના અન્ય વિસ્તારો સાથે સરળતાથી જોડાઈ શકશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button