Top Newsગાંધીનગર

SIR: રાજ્યના અડધાથી વધુ ‘શિફ્ટ’ થયેલા મતદારો માત્ર અમદાવાદ અને સુરતના

ગાંધીનગરઃ રાજ્યમાં આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. આ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. SIR દરમિયાન 40 લાખથી વધુ મતદારો સામે આવ્યા છે, જેઓ હાલની મતદાર યાદીમાં નોંધાયેલા સરનામેથી કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયા છે. જે પૈકી આશરે અઢધાભાગના મતદારો માત્ર અમદાવાદ અને સુરત જિલ્લાના છે. રાજ્યમાંથી 74 લાખ નામ કમી થશે. મૃત્યુ, કાયમી સ્થળાંતર, ગેરહાજર અને ડુપ્લિકેટ મતદાર કાર્ડ જેવા વિવિધ કારણોસર કુલ 73.94 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર થવાની શક્યતા છે. આમાં કાયમી સ્થળાંતર કરનારા મતદારોનો હિસ્સો 54% છે.

અમદાવાદ – સુરતમાંથી 17 લાખથી વધુ મતદારોનું કાયમી સ્થળાંતર

અમદાવાદ અને સુરતમાં અનુક્રમે 8.65 લાખ અને 8.62 લાખ ‘કાયમી સ્થળાંતરિત’ થયેલા સૌથી વધુ મતદારો છે. આ બંને જિલ્લાઓ મળીને આ શ્રેણીના કુલ મતદારોના 43% હિસ્સો ધરાવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ, સુરત અને અન્ય ઔદ્યોગિક જિલ્લાઓમાં સ્થળાંતરિત શ્રમિકોની મોટી સંખ્યા છે. કોવિડ બાદ થયેલું રિવર્સ માઈગ્રેશન આટલી મોટી સંખ્યા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. અન્ય એક કારણ ગુજરાતના જ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સરનામું બદલનારા લોકો પણ હોઈ શકે છે.

કાયમી સ્થળાંતર કરનારા અન્ય મુખ્ય જિલ્લાઓમાં વડોદરા, રાજકોટ, વલસાડ, કચ્છ, ભાવનગર, ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પણ ઉદ્યોગો અને પરપ્રાંતિય શ્રમિકોનું પ્રમાણ વધારે છે. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, સૌથી વધુ સ્થળાંતર અમદાવાદ અને સુરતની બેઠકો પર જોવા મળ્યું છે. ટોચની 10 બેઠકોમાં ચોર્યાસી, કામરેજ, લિંબાયત, ઉધના, અમરાઈવાડી, વેજલપુર, વરાછા રોડ, ઓલપાડ, કતારગામ અને ઘાટલોડિયાનો સમાવેશ થાય છે.

મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટના 2020 ના અભ્યાસ મુજબ, કોરોના મહામારી દરમિયાન 14.97 લાખ શ્રમિકો તેમના વતન પરત ફર્યા હતા. અમદાવાદ કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે જ્યારે BLO એ પડોશીઓને પૂછપરછ કરી, ત્યારે જાણવા મળ્યું કે અન્ય રાજ્યોના ઘણા શ્રમિકો જે કોવિડ વખતે ગયા હતા, તેઓ હજુ પાછા આવ્યા નથી.

સૂત્રોએ જણાવ્યું કે,સ્થળાંતર કરનારા મતદારોએ નવા સરનામે રહેવા ગયા હોય પરંતુ તેમના ચૂંટણી કાર્ડમાં સુધારો ન કરાવ્યો હોય તેવી પણ શક્યતા છે. નોંધનીય છે કે, 2017 અને 2022 ની વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 49 લાખનો વધારો થયો હતો.

કયા શહેરમાંથી કેટલા મતદારાનું સ્થળાંતર

અમદાવાદઃ 8.65 લાખ
સુરતઃ 8.62 લાખ
વડોદરાઃ 2.27 લાખ
રાજકોટઃ 1.69 લાખ
વલસાડઃ 1.26 લાખ

આ પણ વાંચો…ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ: આવતીકાલે પ્રસિદ્ધ થશે ડ્રાફ્ટ યાદી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button