ગાંધીનગર

ગુજરાતમાં આ સરકારી યોજના અનુસૂચિત જાતિની દીકરીઓ માટે બની ‘કવચ’

ગાંધીનગરઃ શાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ પણ છે. આ જ ભાવના સાથે કાર્યરત ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે ‘કુંવરબાઇનું મામેરું’. મુખ્ય પ્રધાનભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫૨,૦૦૦થી વધુ અનુસૂચિત જાતિની દીકરીઓને રૂ. ૬૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મહત્વનું છે કે, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ આપીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કુંવરબાઇનું મામેરું યોજના કેમ શરૂ કરવામાં આવી

દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેનું કન્યાદાન એટલે કે, દીકરીના લગ્ન એ પરિવાર માટે સૌથી મોટો ઉલ્લાસનો અવસર છે. આ પવિત્ર પ્રસંગે અનુસૂચિત જાતિના પરિવારોને આર્થિક ચિંતામાંથી મુક્ત કરવા માટે, ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી કુંવરબાઇનું મામેરું યોજના વરદાનરૂપ સાબિત થઈ રહી છે.

કેટલી મળે છે સહાય

આ યોજના માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ સમાજના આ વર્ગની દીકરીઓને આત્મસન્માન સાથે લગ્ન જીવન શરૂ કરવા માટેનું પ્રોત્સાહન છે. દીકરીના લગ્નને ભારરૂપ નહીં પણ આનંદનો અવસર બનાવવામાં આ યોજનાએ પાયાની ભૂમિકા ભજવી છે. કુંવરબાઇનું મામેરું યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ પરિવારોને તેમની દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવાનો છે. દીકરીના લગ્ન પ્રસંગે રૂ. ૧૨,૦૦૦ની સહાય DBT દ્વારા સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

યોજનાનો લાભ લેવાના શું છે માપદંડ

યોજનાનો લાભ વધુને વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે તે માટે સરળ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તાર માટે રૂ. ૬ લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. એક કુટુંબમાં વધુમાં વધુ બે દીકરીઓના લગ્ન માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં દીકરીની વય ૧૮ વર્ષ અને દીકરાની વય ૨૧ વર્ષ હોવી જરૂરી છે.

ક્યાંથી કરશો અરજી

ગુજરાત સરકારે અરજીની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા માટે તમામ અરજીઓ ઓનલાઈન માધ્યમથી સ્વીકારવાનું શરૂ કર્યું છે. પાત્રતા ધરાવતા નાગરિકો લગ્નના બે વર્ષની અંદર http://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે.

લાભાર્થીને આ યોજના અંતર્ગત સીધો લાભ મળે છે. દીકરીનો પરિવાર સન્માન સાથે લગ્નવિધિ કરી શકે તે માટે આ સહાય આપવામાં આવે છે. આ સહાય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને લગ્નના આયોજન, ખરીદી અને અન્ય ખર્ચાઓના આર્થિક બોજમાંથી રાહત આપે છે. આ યોજના દ્વારા મળતી સહાય દીકરીને આત્મસન્માન અને ગૌરવ સાથે પોતાનું નવું જીવન શરૂ કરવામાં મદદરૂપ થાય છે.

આપણ વાંચો:  મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા આવેલા ગોપાલ ઈટાલિયાને ભાજપ સરકારના ક્યા ટોચના પ્રધાન ભેટી પડ્યા ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button