ગાંધીનગર

આરોગ્ય સમીક્ષા કેન્દ્ર: ગાંધીનગરમાં નવતર પહેલથી ગુજરાતની આરોગ્ય સેવાઓ બનશે વધુ સુદ્રઢ

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી 5મી જૂનના રોજ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.

આ પણ વાંચો: ભારતમાં કોવિડ-19ના વધી રહેલા કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા

ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરાયો છે તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

આ નવનિર્મિત કેન્દ્ર આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનાવશે. અહીં હેલ્પલાઇન નંબર 104 દ્વારા દર્દીલક્ષી ફીડબેક ફોન કરવામાં આવશે, તેમજ PMJAY હેલ્પલાઇન નંબર પણ આ કેન્દ્રથી જ કાર્યરત બનશે. આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા માટે સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની વ્યવસ્થા ઊભી કરાઈ છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે સર્વેક્ષણ, આ યોજનાઓ થઈ શકે છે બંધ!

આ કેન્દ્ર દ્વારા દૂર-સુદૂર અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ તેમજ રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓનો સીધો જ સંપર્ક કરી તેમને આરોગ્ય સેવાઓ સાથે જોડવાની કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. આ પહેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવી જનસુખાકારી વધારવાના રાજ્ય સરકારના સતત પ્રયાસોનો એક ભાગ છે.

આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ કોન્ફરન્સ રૂમ, વિડીયો કોન્ફરન્સ માટેનો મીટિંગ રૂમ, અને 100 જેટલા તાલીમબદ્ધ કોલ-ટેકર્સ દ્વારા લાભાર્થીઓને પરામર્શ, સલાહ અને માર્ગદર્શન આપવા માટેની અત્યાધુનિક કોલ સેન્ટરની વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કેન્દ્ર માતા આરોગ્ય, બાળ આરોગ્ય, ટી.બી., રસીકરણ, PMJAY-મા યોજના અને સિકલસેલ એનિમિયા સહિતની મહત્વની આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરશે. 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા લોકોને ઘરે બેઠા આરોગ્યલક્ષી માહિતી અને ટેલિમેડિકલ એડવાઈઝ પણ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button