ગાંધીનગર

ગુજરાતમાં ત્રણ વર્ષમાં કેટલા બાળકોને હૃદય સંબંધિત સારવાર આપવામાં આવી?

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્ય પ્રધાનના માર્ગદર્શન અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં નાગરીકો સુધી પહોચી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે.

આ યોજના હેઠળ રાજ્યમાં દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ ૧ કરોડ ૮૯ લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ PHC-CHC-SDH, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો ખાતે રીફર કરીને તદ્દન વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સુશાસન અંતર્ગત આ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને ૪૫ હજારથી વધુ બાળકોને હૃદય સબંધિત સર્જરી અને સારવાર, ૪,૧૪૯ કીડની સારવાર, ૨,૩૩૬ કલબફૂટ, ૧,૪૦૮ ક્લેફ્ટ લીપ પેલેટ, ૬૯૨ કેન્સર રોગની સારવાર, ૭૫૧ કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી, ૪૨ કીડની ટ્રાન્સપ્લાન્ટ, ૨૩ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ ૧૨ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ બાળકોના નિદાન, રિફર અને સારવાર માટે ગુજરાતમાં કુલ – ૨૮ ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર (DIEC) કાર્યરત કરવામાં આવ્યા છે. વધુમાં રાજ્યમાં કુલ ૯૯૨ આર.બી.એસ.કે મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે. આ ટીમો ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા નવજાત શીશુથી ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ડીલીવરી પોઇન્ટ ખાતે દરેક નવજાત શીશુનું બર્થ ડીફેકટ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. ઉપરાંત નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકોનું “4D બર્થ ડીફેકટ, ડેવલપમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી માટે નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.

આપણ વાંચો:  કિંજલ દવેને ન્યાત બહાર મૂકવાનો વિવાદ, જાણો કિંજલે શું કહ્યું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button