ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, નવી 201 બસો ઉમેરાઈ

ગાંધીનગર: ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી 201 એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

136 સુપર એક્સપ્રેસ 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસનો સમાવેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસ.ટી.નિગમની નવી 201 બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા 4200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
દૈનિક 8000થી વધુ બસો દ્વારા પ્રતિદિન 33 લાખ કિલોમીટરનું સંચાલન
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8000થી વધુ બસો દ્વારા પ્રતિદિન 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના ૨૭ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે. આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો : વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુના ૭૨ ટકા પ્રોજેક્ટ કાર્યરત થયા