ગુજરાત પોલીસે ‘પાસા’ હેઠળ પકડાયેલા 1157 આરોપીને ભણાવ્યા કાયદાના પાઠ

ગાંધીનગર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા ગુંડા તત્વો અને નિર્દોષ નાગરિકોને પરેશાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવા તેમ જ કાયદાનું ભાન કરાવવા કડક પગલા પણ લઇ રહી છે. વર્ષ 2022થી 2024 દરમિયાન ત્રણ વર્ષમાં પાસા હેઠળ અટક થયેલા 1157 આરોપીને ભેગા કરી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. વર્ષ 2022થી 2024 દરમિયાન ત્રણ વર્ષમાં પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટી એકટ) હેઠળ ધરપકડ કરવામાં આવેલા 1157 આરોપીને ભેગા કરી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ પહેલનો હેતુ એવા ગુનેગારો પર નજર રાખવાનો છે જેઓ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. તે ઉપરાંત આ રીઢા ગુનેગારોને ફરીથી ગુનાખોરીના માર્ગે જતા અટકાવવાનો છે.
આ પણ વાંચો: મોરબીમાં માથાભારે ઇસમ અને બુટલેગરને પાસા હેઠળ જેલ ધકેલ્યા
ચાર શહેરોમાં અનોખી પહેલ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તાજેતરમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં આ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા. જેમા વર્ષ 2022થી 2024 દરમિયાન પાસા હેઠળ અટક થયેલા કુલ 1157 આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની સાથે વાતચીત કરીને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી અને તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું હતું કે જો તેઓ ફરીથી ગુનાખોરીમાં સંડોવાયેલા જણાશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
1,157 આરોપીમાં સૌથી વધુ સુરત અને અમદાવાદના
ગુજરાત પોલીસની આ પહેલ ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા અને સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના પ્રયાસમાં મહત્વની બની રહેશે. આ ચારેય શહેરોમાં 1157 ‘પાસા’ના આરોપીઓ પૈકી રાજકોટ શહેરના 73, અમદાવાદ શહેરના 389, સુરત શહેરના 532 અને વડોદરા શહેરના 163 આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુન: ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે છે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ જરૂરી સમજ આપી હતી.
‘પાસા’ કાયદા વિશે પણ જાણી લો માહિતી
પાસા (Prevention of Anti-Social Activities Act), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બૂટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.