ગુજરાતમાં વાંચન વધારવા સરકાર 71 નવી લાયબ્રેરી બનાવશે

ગાંધીનગર : ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તે માટે સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેના ભાગરૂપે તાલુકા સ્તરે નવી 71 સરકારી લાયબ્રેરી બનાવશે. જેમાં ગત વર્ષે રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ 7 આદિજાતિ જિલ્લા 14 તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ 64 સરકારી લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ 64માંથી 53 સરકારી લાયબ્રેરી કાર્યરત થઈ છે અને 11નું કામ પ્રગતિમાં છે. ગુજરાતમાં કુલ 197 સરકારી લાયબ્રેરીઓ કાર્યરત છે.
રાજ્યમાં 33 જિલ્લા લાયબ્રેરી અને 150 તાલુકા લાયબ્રેરી
રાજ્યમાં કુલ 197 સરકારી લાયબ્રેરી કાર્યરત છે, જેમાં 33 જિલ્લા લાયબ્રેરી અને 150 તાલુકા લાયબ્રેરી સહિત મધ્યસ્થ લાયબ્રેરી, ફરતી લાયબ્રેરી, રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, સ્ટેટ આર્ટ લાયબ્રેરી અને મહિલા ગ્રંથાલયોનો પણ સમાવેશ થાય છે.
લાયબ્રેરીમાં પ્રતિદિન વાંચનનો લાભ
રાજ્યના મધ્યસ્થ લાયબ્રેરીમાં પ્રતિદિન 500થી વધુ નાગરિકો વાંચનનો લાભ લઇ રહ્યા છે. જ્યારે જિલ્લા લાયબ્રેરી ખાતે પ્રતિદિન 150થી વધુ વાંચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે. રાજ્યના જે જિલ્લા લાયબ્રેરી ખાતે વાંચનની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં પ્રતિદિન 250થી વધુ વાચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, અને તાલુકા લાયબ્રેરી ખાતે પણ 100થી વધુ વાચકો પ્રતિદિન વાંચનનો લાભ મેળવી રહ્યા છે.
આદિજાતિ સમુદાયો પણ વાંચનનો લાભ વિસ્તર્યો
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ લાયબ્રેરી કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેના થકી આદિજાતિ સમુદાયને પણ વાંચન સેવાનો લાભ મળી રહ્યો છે.
6 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ” નેશનલ રીડ અ બુક ડે” એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરેક વ્યક્તિને પુસ્તક વાંચનનો આનંદ માણવા માટે તેમના દિવસમાંથી સમય કાઢવા માટે પ્રેરિત કરે છે. આ દિવસને ઊજવવાનો ઉદ્દેશ દરેક લોકો વાંચનની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
આપણ વાંચો: નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ…