ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ સ્ટેમ્પ ડયુટીમાં 80 ટકા ઘટાડો

ગાંધીનગર: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર – શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી- ટ્રાન્સફર માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરવામાં આવશે. જેના પગલે હવે એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટની ભરવા પાત્ર સ્ટેમ્પ ડયુટીમાં 80 ટકા ઘટાડો થયો છે.
સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ
આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં
આ સંદર્ભમાં કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટી ના 20 ટકા તથા દંડ ની રકમ મળીને માત્ર લેવા પાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.સરકારના સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયના અનુસંધાને જાહેર કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.