કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર, મહિલાઓ પણ નાઇટ શિફ્ટમાં કરી શકશે કામ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર, મહિલાઓ પણ નાઇટ શિફ્ટમાં કરી શકશે કામ

ગાંધીનગરઃ કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં આજે પસાર કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવું અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે. તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે.

આપણ વાંચો: ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર થયું, જાણો શું છે વિશેષતા

પ્રધાન રાજપુતે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, કોઇપણ રાજ્યમાં નવા-નવા ઉદ્યેાગો અને મૂડીરોકાણ કરવા માટે ઉદ્યેાગકાર ત્યારે જ આવે કે જ્યારે રાજ્યમાં તેને ઉદ્યોગ સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ હોય. આ માટે અનુકૂળ વાતાવરણ એટલે ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી જમીન સરળતાથી પ્રાપ્ત થાય, માળખાનો ઝડપી વિકાસ થઇ શકે તેવા સંજોગો હોય, તેમને જરૂરી કુશળ માનવબળ ઉપલબ્ધ થાય, સરકારની ઉદાર આર્થિક નીતિઓ હોય તેમજ ઉદ્યેાગ શરૂ કરી તેને સફળતાપૂર્વક ચલાવવા માટે કાયદાકીય રીતે ઓછી આટીઘૂંટી અને સરળ જોગવાઇઓ ધરાવતુ વાતાવરણ મળી રહેતું હોય છે.

પ્રધાને કહ્યું હતું કે, આપણો દેશ અને આપણું ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યેાગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. રાજ્યમાં અને દેશમાં નવા-નવા ઉદ્યેાગો, નવી-નવી ટેકનોલોજી અને તેના થકી રાજ્યમાં અને દેશમાં આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે.

આપણ વાંચો: રાજ્યના કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: વિધાનસભામાં સરકારે આપી માહિતી

આ ઉપરાંત તેમણે કહ્યું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જુદા-જુદા ઉદ્યોગોથી સમૃદ્ધ કરવાની અને રાજ્યના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતના સૌથી મોટા રેલ્વેતંત્ર માટે ટ્રેનના ડબ્બા/કંમ્પાર્ટમેન્ટ બનાવવાની તક પણ આપણા વડાપ્રધાને ગુજરાતને આપી છે.

પ્રધાને કહ્યું હતું કે, રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્વની છે. રાજ્યના યુવાનો તેમની કુશળતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર થાય અને રાજ્યના આર્થિક વિકાસમાં તેઓનું યોગદાન આપી શકે તેવી તકોનું નિર્માણ તેમજ કામદારોના હિત જાળવવા સહિત રોજગારીનું સર્જન કરવા અને તેમને વધુને વધુ આર્થિક ફાયદો થાય તે અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઇ રહ્યાં છે.

પ્રસ્તાવિત વિધેયકમાં કારખાના ધારા-૧૯૪૮ ની કુલ-૬ કલમોમાં સુધારા સૂચવેલ છે. જેમાં કામના કલાકો, આરામનો સમય, કામનો કુલ સમયગાળો, ઓવરટાઇમ, ત્રણ મહિનાનો ઓવરટાઇમનો સમયગાળો અને મહિલા શ્રમયોગીઓ માટે રાત્રી પાળીમાં કામ કરવાની બાબતનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા પર મુખ્યમંત્રીએ રજૂ કર્યો અભિનંદન પ્રસ્તાવ: PM મોદી અને સેનાના હિંમતભર્યા પગલાંની સરાહના

હાલની જોગવાઈ મુજબ મહિલા શ્રમયોગીઓ પાસેથી સવારના ૦૬.૦૦ થી સાંજના ૦૭.૦૦ વાગ્યા સિવાયના કલાકોમાં કામ લઇ શકાતુ નથી. આ કલમ હેઠળની અન્ય જોગવાઇ મુજબ, ઉકત સમયગાળા સિવાયના કલાકોમાં મહિલા શ્રમયોગીઓ પાસેથી કામ કરાવવા અંગે રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને મંજુરી આપી શકે છે.

વળી, રાત્રીના ૧૦.૦૦ થી સવારના ૦પ.૦૦ કલાકના સમયગાળા દરમ્યાન મહિલા શ્રમયોગીઓને કામે રાખી શકાય નહિ તેવી સ્પષ્ટતા પણ પ્રધાને ગૃહમાં કરી હતી.

પ્રધાને કહ્યું હતું કે, કારખાના ધારા, ૧૯૪૮માં મહિલા શ્રમયોગીઓને રાત્રી પાળીમાં કામે રાખવાની જોગવાઈ ન હોવા છતાં મહિલા શ્રમયોગીઓને સમાનતા, સ્વતંત્રતા, વ્યવસાય કરવાના અને આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને લઈને માન.

ગુજરાત ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશોને કાયદાકીય સ્વરૂપ આપવા માટે પ્રસ્તાવિત વિધેયકમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ વિધેયકમાં જે કંઇ જેાગવાઇઓ કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વની જોગવાઇ એ છે કે હવે મહિલા કામદારોને રાત્રી પાળીમાં તેમની સંમતિથી અને સંપૂર્ણ સલામત વાતાવરણમાં કામ કરવાની કાયદેસરની તક પ્રાપ્ત થશે.

વડાપ્રધાનએ “બેટી બચાઓ, બેટી પઢાઓ”નું સૂત્ર આપ્યું. છે. “બેટી પઢાઓ” પછી ‘‘બેટી આગે બઢાઓ‘‘ એટલે કે ભણેલ ગણેલ અને કૌશલ્ય પ્રાપ્ત કરેલ બહેનો-દિકરીઓને રોજગારીની વધુને વધુ તક આપવામાં આવે, તેઓ આર્થિક કમાણી કરી શકે અને પગભર થઇ સ્વમાનભેર જીવી શકે તે માટે ૧૬ જેટલી શરતોએ મંજૂરી આપવા અંગેની જોગવાઇ પણ આ વિધેયકમાં કરવામાં આવી છે.

રાત્રી પાળીમાં સ્વેચ્છાએ કામ કરતી મહિલા શ્રમિકોને તેના ઘર-કુટુંબ માટે દિવસ દરમિયાન સમય મળી રહેશે. આમ તે “ગૃહીણી” ની સાથે-સાથે “ગૃહલક્ષ્મી”ની ભૂમિકા પણ અસરકારક રીતે ભજવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, અત્યાર સુધી રોજના ૯ કલાક લેખે અઠવાડીયામાં મહત્તમ ૪૮ કલાક કામ લેવાની કારખાના ધારામાં જોગવાઇ છે અને તેના કરતા વધારે સમય કામ કરે તો એટલે કે ઓવરટાઇમ કરે તો કામદારને ઓવરટાઇમ મળવાપાત્ર થાય છે.

હવે રાજ્યમાં એવા ઘણા ઉદ્યોગો આવી રહ્યા છે કે જેઓને તેમની ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડતી હોય છે અને તો જ તેઓ તેમના ઉત્પાદનમાં પ્રોસેસ કે માલસામાન સંબંધી કોઇ નુકસાન વગર સારી રીતે ઉત્પાદન કરી શકે. આવા સંજેાગોમાં વારંવાર શીફ્ટ બદલવાથી તેઓને ઉત્પાદનમાં કે ઉત્પાદનની ગુણવત્તામાં નુકસાન જાય એમ છે.

પરંતુ જો કામદાર તેની પોતાની સંમતિથી અને રિસેસ વગેરે ભોગવવા સાથે જો ૧૨ કલાક કામ કરવાની તૈયારી બતાવે તો તેવા કામદારોને કામે રાખીને આવા ખાસ ઉદ્યોગ પોતાની ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી કરી શકે અને તે સામે કામદારોને તેમના કામનું પૂરતું વળતર મળી રહે.

આ માટે વિધેયકમાં જેાગવાઇ થયા પ્રમાણે રાજ્ય સરકાર જાહેરનામાથી રિશેસ સાથે રોજના ૧૨ કલાક પરંતુ અઠવાડીયામાં માત્ર ૪૮ કલાક જ કામ કરવા માટે મંજૂરી આપી શકશે તેમ પ્રધાન ઉમેર્યુ હતું.

પ્રધાને જણાવ્યું હતું કે, આ વિધેયકમાં પેટા કલમના ઉમેરા બાદ ૦૫ કલાક બાદ અડધા કલાકની રીસેસના બદલે ૦૬ કલાક બાદ અડધા કલાકની રીસેસ અને કારખાનાના વર્ગને દિવસ દરમ્યાન આરામ સહિતનો કામનો સમય ૧૨ કલાક સુધી વિસ્તારવામાં આવશે.

આ ઉપરાંત જો કોઈ મજૂર એક દિવસ ૯ કલાક અને અઠવાડિયાના ૪૮ કલાક કરતાં વધુ કામ ઓવરટાઈમ કરે તો તેને વધારાનું વેતન મળશે.

પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે-તે ફેકટરીના વર્ગને જાહેરનામા દ્વારા ખાસ મંજૂરી આપીને જ આ જોગવાઇઓનો અમલ કરાવી શકશે. કાયદામાં લાવેલ સુધારાઓ સરકારની મંજૂરીથી ચોક્કસ કારખાનાના વર્ગને જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારબાદ જ અમલમાં આવશે.

આ મંજૂરી પણ કાયમી નથી. સરકાર જેટલા સમય માટે મંજૂરી આપે તેટલા સમય માટે જ આ મંજૂરી અમલી રહેશે તથા સરકાર આપેલી મંજૂરી પરત પણ ખેંચી શકે છે તેમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું.

બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, આ મહત્વપૂર્ણ બીલ શ્રમિકોના હિતના રક્ષણની સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિને પણ ઉત્તેજન આપશે. શ્રમયોગીઓનું કલ્યાણ અને આર્થિક વૃદ્ધિ થાય, મહિલા શ્રમયોગીના કૌશલ્યનો ઉપયોગ થાય, તેમના પરિવારની આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય, રાજ્યમાં નવીન ટેક્નોલોજી ધરવતા ઉદ્યોગોની સ્થાપનાથી વધુ રોજગારીનું સર્જન થાય તેવા હેતુથી કારખાના ધારા, ૧૯૪૮માં સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button