ગુજરાતમાં ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજાશેઃ વિજેતાને પાંચ લાખનો પુરસ્કાર મળશે

ગાંધીનગરઃ રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ‘ઓપરેશન સિંદૂર’ જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે.
આપણ વાંચો: “9 ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ પર પ્રતિબંધ” ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું
પ્રધાન સંઘવીએ જણાવ્યું કે, આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને કુલ રૂ. ૫૨.૫૦ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમને ₹૫,૦૦,૦૦૦, દ્વિતીય ક્રમને ₹૩,૦૦,૦૦૦ અને તૃતીય ક્રમ: ₹૧,૫૦,૦૦૦ પુરસ્કાર આપવામાં આવશે. ચાર મહાનગરો સિવાયના ૨૯ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે. આ ઉપરાંત, પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને ₹૧,૦૦,૦૦૦ લેખે આપવામાં આવશે.
આપણ વાંચો: દસ પછી બસઃ અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરો બંધ
શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત કરવામાં આવ્યા છે.
- ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ
- ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી
- ‘ઓપરેશન સિંદૂર’ અને સ્વદેશી વસ્તુઓની થીમ
- પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય)
- સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
- પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ
મૂલ્યાંકન સમિતિ:
- ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે.
- અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે:
ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
આ વર્ષની થીમ:
- થીમ-૧: ‘ઓપરેશન સિંદૂર’ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન.
- થીમ-૨: વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી