મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો ચોથો અહેવાલ સોંપવામાં આવ્યો | મુંબઈ સમાચાર
ગાંધીનગર

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો ચોથો અહેવાલ સોંપવામાં આવ્યો

ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં ૯ જેટલી ભલામણો સાથે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ પદે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી હતી. આ સંદર્ભમાં જર્ક(જીએઆરસી) દ્વારા અત્યારસુધીમાં રાજ્ય સરકારને ત્રણ ભલામણ અહેવાલો સોંપવામાં આવ્યા હતા અને તેની કુલ મળીને ૨૫ ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે.

જર્કના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં ૯ જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગુરુવારે સુપ્રત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૪માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે “અમારી સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવા સતત કાર્યરત રહેશે” ના કરેલા સંકલ્પને ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામથી રાજ્ય સુધીના લોકશાહી આધારિત વિકાસ મોડલથી સાકાર કરવાના ઉદ્દેશ્યથી જર્કના આ ચોથા ભલામણ અહેવાલમાં વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણો કરવામાં આવેલી છે.

આ ચોથા અહેવાલમાં વિકેન્દ્રીત આયોજન અને બજેટ વ્યવસ્થા અંગે જે ઐતિહાસિક ભલામણો કરવામાં આવી છે તેના પરિણામે લોકકેન્દ્રિત વિકાસ, પારદર્શિતા અને જવાબદારીના નવા યુગની શરૂઆત થશે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં ગામથી તાલુકા અને જિલ્લાની યોજના પ્રક્રિયા વધુ લોકતાંત્રિક, પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનશે તેવી અપેક્ષા આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.

જર્કના આ ચોથા અહેવાલમાં ગુજરાતના આયોજન માળખામાં મૂળભૂત પરિવર્તન લાવતી ભલામણો કરવામાં આવી છે તે રાજ્યના નાગરિકોને સીધો લાભ પહોંચાડનારી છે. આ ભલામણો દ્વારા રાજ્યમાં વિકેન્દ્રિકૃત આયોજનને મજબૂત બનાવવાનું અને ગામડાંઓને વિકાસ પ્રક્રિયાના કેન્દ્રમાં લાવવાનું મહત્વપૂર્ણ કદમ ભરવામા આવ્યું છે.

આ અહેવાલની મુખ્ય ભલામણોમાં જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં સાતથી આઠ ગણા જેટલો ધરખમ વધારો, જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ – ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી, આયોજન માટે ફિક્સ કૅલેન્ડર, તાલુકા સ્તરે એકીકૃત સમિતિ અને વિલેજ ડેવલપમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.

જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં અંદાજે સાતથી આઠ ગણો ધરખમ વધારો:
સ્થાનિક સ્તરના પાયાના કડીરૂપ કામો માટેનુ જિલ્લા આયોજન માટેનું જે બજેટ વર્ષોથી સ્થિર રહ્યું છે, તેમાં હવે પંચ દ્વારા આવતા પાંચ વર્ષોમાં વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમનો વધારો કરવાની ભલામણ કરવામાં આવેલી છે. બજેટનો વધારો થતા વધુ રસ્તા, વધુ શાળાઓ, વધુ આરોગ્ય સુવિધાઓ અને વધુ રોજગારની તકો ઉભી થશે અને ગ્રામીણ સ્તરના પાયાના લોકોની શાસનમા ભાગીદારી વધશે.

જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ – ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી:

રાજ્યમાં ૧૯૭૩થી જિલ્લા કક્ષાના આયોજન માટે જિલ્લા આયોજન મંડળ અસ્તિત્વમાં છે. આ જિલ્લા આયોજન મંડળની જગ્યાએ જિલ્લા કક્ષાના તમામ આયોજનની મંજૂરી હવેથી ભારતના બંધારણમાં સૂચવ્યા મુજબની જિલ્લા આયોજન સમિતિ દ્વારા આપવામાં આવે તેવી ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.

એટલુ જ નહિ, જિલ્લા આયોજન સમિતિમા જિલ્લા કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધિઓને પ્રાધાન્ય આપીને પંચાયત સ્તરને વધુ સુદ્ર્ઢ બનાવવામાં આવશે તથા જિલ્લા આયોજન સમિતિમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અધ્યક્ષ તર્રીકે યથાવત રહેશે. હવે જિલ્લા સ્તરે યોજનાઓ નક્કી કરવાનો અધિકાર જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવશે અને લોકશાહીનો સાચો અર્થ પણ સાકાર થઈ શકશે.

આયોજન માટે ફિક્સ કૅલેન્ડર:

વિવિધ યોજનાઓ અન્વયેના કામો નક્કી કરવાથી લઇને વહીવટી મંજૂરી તેમજ ટેન્ડરીંગ અને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવા માટે પંચ દ્વારા એક ફિક્સ કેલેન્ડરની ભલામણ કરવામાં આવી છે. આ કેલેન્ડર મુજબ આગામી વર્ષની આયોજન પ્રક્રિયા આ વર્ષના જૂન–જુલાઈ મહિનાથી ગામ સ્તરે શરૂ થશે અને તે તમામ વહીવટી પ્રક્રીયાઓ એ રીતે પૂરી કરવામાં આવશે કે આવતા વર્ષના એપ્રિલ મહિનાથી વાસ્તવમાં કામગીરી શરૂ થઇ શકે અને સમયમર્યાદામાં કામ પૂરૂ થઇ શકે. આવા કેલેન્ડરથી આયોજન અને અમલીકરણ નિયત સમયમર્યાદામાં પૂરા થઇ શકશે અને નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ તથા ગુણવત્તાયુક્ત કામ થશે તેવી ભલામણ પણ પંચ દ્વારા કરવામાં આવી છે.

તાલુકા સ્તરે એકીકૃત સમિતિ:

તાલુકા કક્ષાએ આયોજન મંજૂર કરવા પ્રવર્તમાન સ્થિતિએ એક કરતા વધારે સમિતિઓ અસ્તિત્વમાં છે, તેમાં સરકારની વિવિધ યોજના અન્વયેના કામોને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ, આ અલગ અલગ સમિતિઓના કારણે તાલુકા કક્ષાએ ઘણી વાર સંકલનના અભાવે અનેક સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે.

હવે પંચ દ્વારા તાલુકા કક્ષાએ કોઇ પણ કામની મંજૂરી માટે એક જ સમિતિ “એકીકૃત તાલુકા આયોજન સમિતિ” રહે તે મુજબની ભલામણ કરવામાં આવી છે. આનાથી કામ મંજૂર કરવામા થતો વિલંબ ઘટશે અને ગુંચવણ પણ ઓછી થશે. તાલુકા સ્તરે ઝડપી અને એકીકૃત નિર્ણય લેવાતા દરેક નાગરિકને તેનો સીધો લાભ પણ મળશે.

વિલેજ ડેવલપમેન્ટ પ્લાન – નાગરિકોની સીધી ભાગીદારી:

દરેક ગામ પોતે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરશે અને ગ્રામસભા દ્વારા આ વિલેજ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવામાં આવશે. તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ જે કામોનુ આયોજન મંજૂર કરવામાં આવશે તે તમામ આયોજન માટે કામોની પસંદગી આ વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાંથી જ કરવાની રહેશે.

હવે, ગ્રામજનો તેમના વિસ્તારમાં કયા કામો થવા જોઈએ તે જાતે નક્કી કરશે. આમ, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પણ હવે વિકાસમાં ભાગીદાર પણ બનશે અને ગાંધીજીની સ્વરાજની કલ્પના – “ગામ પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરે” – સાચા અર્થમાં સાકાર થશે. આ ઉપરાંત ગ્રામ સ્તરે શિક્ષણ, પીવાનું પાણી, રસ્તા, સ્વાસ્થ્ય કેન્દ્રો જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકો જાતે જ પ્રાથમિકતાઓ નક્કી કરી શકશે.

આ પણ વાંચો…ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે શહેરી વિકાસ વર્ષ! ભૂપેન્દ્ર પટેલે શહેરોના વિકાસ માટે 4179 કરોડ રૂપિયા ફાળવ્યાં

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button