મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિધાનસભા ખાતે સરદારની પ્રતીમાને પુષ્પો અર્પણ કર્યા

ગાંધીનગરઃ અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOUનું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે.

આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. ૩૧ ઓક્ટોબરને વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે વર્ષ ૨૦૧૪થી ઉજવી રહ્યા છીએ તેમ પણ તેમણે કહ્યું હતું.
ગુજરાતનાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મ જયંતી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે.
 
 
 
 


