વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર નવી ગાઈડ લાઈન મુજબ પેટા ચૂંટણી યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ચૂંટણી માટે અમલી બનેલી નવી ગાઈડલાઈન મુજબ આ ચૂંટણી યોજાશે. અલગ અલગ 21 મુદ્દા હેઠળ નવી જોગવાઈનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંદર્ભે સુચવેલા સુધારા બાદ ગુજરાતમાં આ પહેલી ચૂંટણી હશે જે નવી સૂચનાઓના આધારે યોજવામાં આવશે.
શું થયો ફેરફાર?
ગુજરાતમાં તારીખ 19 જૂનના રોજ 24 કડી (અનામત) વિધાનસભા અને 87 વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભારતીય ચૂંટણીપંચની નવી જોગવાઈઓનો અમલ થશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક નજીક બુથ ઉભા કરવા માટેની જોગવાઈ હતી, તેમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુજબ હવે મતદાન મથકના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતર સુધી કોઈ પણ બૂથ ઊભા કરી શકાશે નહીં. આમ, મતદાન મથકના પ્રવેશદ્વારથી 200 મીટર દૂર ઊભા કરવાની જોગવાઈ હતી તેમાં પરિવર્તન કરીને 100 મીટર કરવામાં આવી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની અદ્યતન સૂચના અનુસાર મતદાનના દિવસે આ બાબતે મૂંઝવણની સ્થિતિ નિવારવા માટે મતદાનના ઓછામાં ઓછા 3 દિવસ પહેલા મતદાન મથક પરિસરથી 100 મીટરના વિસ્તારને ચિહ્નિત કરી દેવામાં આવ્યો છે. દરેક ઉમેદવાર કે જે આવા બુથ ઉભા કરવા ઈચ્છતા હોય તેમણે જે તે મતદાન મથકે આવી નામ અને નંબરની અગાઉથી ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. જો સ્થાનિક કાયદા હેઠળ બુથ ઉભા કરવા સ્થાનિક સત્તાધિકારી જેવા કે મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત વિગેરેની પૂર્વ મંજૂરી લેવાની રહેતી હોય તો લેખિત મંજૂરી પણ લેવાની રહેશે.
તે ઉપરાંત બુથ તથા ત્યાં હાથ ધરાયેલ પ્રવૃતિઓનો ખર્ચ ઉમેદવારનાચૂંટણી ખર્ચના ખાતામાં ઉધારવામાં આવશે. કોઈ પણ પોસ્ટર, ઝંડા, પ્રતીકો કે અન્ય કોઇ પણ પ્રકારની પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહીં.બૂથ પર ફક્ત 1 ટેબલ અને 2 ખુરશી રાખી શકાશે. જાહેર અથવા ખાનગી મિલકત પર અતિક્રમણ કરીને બુથ ઉભા કરી શકાશે નહીં.
કોઈ પણ ધાર્મિક સ્થળો કે તેના પરિસરમાં બુથ ઉભા કરી શકાશે નહીં.કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા હોસ્પિટલને લગોલગ બુથ ઉભા કરી શકાશે નહીં. ઉમેદવારોના કેમ્પ સાદા હોય તેસુ નિશ્ચિત કરવામાં આવશે.
આ પણ વાંચો….કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર-પડઘમ શમ્યા, મતદાનના દિવસે રજા