કર્તવ્યનિષ્ઠાનું સન્માન: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 118 જવાનોને ચંદ્રકથી નવાજ્યા

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના ૧૧૮ અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા.
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારોહમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો: ગુનેગારનો ફિલ્મી અંદાજ: રાજસ્થાનમાં વોન્ટેડ આરોપીએ ગુજરાત પોલીસ પર કાર ચઢાવી, ફાયરિંગ છતાં ફરાર…
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, સમગ્ર પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની શક્યું છે.

તેમણે ચંદ્રક મેળવનારા પોલીસ કર્મીઓના પરિવારજનોને વિશેષ અભિનંદન આપતા કહ્યું કે, પોલીસની કપરી ફરજો બજાવવા માટે પરિવારનો સહયોગ, સહકાર પણ એટલો જ જરૂરી છે.
મુખ્ય પ્રધાને ઉમેર્યું કે, પોલીસ એટલે પ્રજાનો રક્ષક અને જાન-માલનો પહેરેદાર એ સહજ ભાવ સમાજમાં વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે ભરોસો અને અપાર વિશ્વાસ છે.
આપણ વાંચો: ગુજરાત પોલીસમાં ખળભળાટ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લીધો!
સમાજને રંજાડનારા તત્વો, ગુનાહિત માનસિકતા વાળા લોકોને પોલીસનો ડર રહે અને ખોટું કરે જ નહીં તેવો રૂઆબ અને રૂતબો પોલીસ વરદીનો હોય તેમ મુખ્ય પ્રધાને પોલીસ દળને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, પડકારજનક પરિસ્થિતિઓમાં આ સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓનું બલિદાન, શૌર્ય અને સમર્પણ આપણા સમાજની મજબૂતીનો આધાર છે.
“President Police Medal for Distinguished Service” 25 વર્ષની નિષ્ઠાવાન સેવા અને “Police Medal for Meritorious Service” 18 વર્ષની ઉત્કૃષ્ટ સેવા ઉપરાંતના વિવિધ કડક માપદંડોને આધારે આપવામાં આવે છે, જે આ ચંદ્રક વિજેતા સૌ પોલીસ અધિકારી કર્મચારીઓના અસાધારણ યોગદાનની સાક્ષી આપે છે.
આપણ વાંચો: ખાખીને દાગ: છેલ્લા અઠવાડિયામાં ગુજરાત પોલીસમાં નશા, અકસ્માત, છેડતી અને ગુંડાગીરીના કિસ્સાઓથી ખળભળાટ!
વર્દી ઉપર ચંદ્રક, પદક, કે બેઝ લાગે છે, ત્યારે ગર્વનો અનુભવ
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, યુનિફોર્મ સર્વિસમાં જ્યારે કોઈ અધિકારી – કર્મચારીના વર્દી ઉપર ચંદ્રક, પદક, કે બેઝ લાગે છે, ત્યારે આ અધિકારી – કર્મચારીના મનમાં ગર્વનો અનુભવ થતો હોય છે.
આજના દિવસે જે અધિકારીઓ – કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરી અલંકૃત કરવામાં આવ્યા છે. આ પદક તેમના આત્મ વિશ્વાસમાં વધુ સારી કામગીરી કરવા ઉમેરો કરશે તેવો વિશ્વાસ છે.
આ સમારોહમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ડી.જી.પી (તાલીમ) નીરજા ગોટરુ, આઈ.જી.પી (વહીવટ) ગગનદીપ ગંભીર, રાજ્ય પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ચંદ્રક પ્રાપ્ત પોલીસ અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.