બનાસ નદીમાં જીવના જોખમે અવરજવર: પુલ વિના ગ્રામજનોની દુર્દશા…

પાલનપુર: ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં ભારે વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે સ્થાનિકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીમાં પાણીનું સ્તર વધતા ખાસ કરીને અમીરગઢના કાકવાડા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શાળાએ જતા બાળકોની હાલાકી
મળતી વિગતો અનુસાર નદીમાં પાણી વધવાના કારણે શાળાએ જતા બાળકોને સૌથી વધુ પરેશાની વેઠવી પડી રહી છે. કમર સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ પહોંચવું તેમના માટે એક મોટો પડકાર બન્યો છે. નાના બાળકોને તો તેમના માતા-પિતા ખભા પર બેસાડીને નદી પાર કરાવી શાળાએ મૂકવા જાય છે.
કાકવાડા સહિત નદીના સામે છેડે આવેલા અનેક ગામડાઓના લોકો માટે આ કોઈ નવી સમસ્યા નથી. બનાસ નદી પર પુલ ન હોવાને કારણે તેમને ચોમાસા દરમિયાન આવી જ રીતે જોખમી રીતે નદી પાર કરવી પડે છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર અનેક ગ્રામજનોના ખેતરો નદીના સામેના કાંઠે આવેલા હોવાથી તેમને માથે દૂધના કેન અને અન્ય સામાન ઉપાડીને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે.
વર્ષોથી પુલ બનાવવાની તેમની માગણી અધૂરી રહી હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર સમક્ષ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને તાત્કાલિક ધોરણે પુલનું નિર્માણ કરવાની અપીલ કરી રહ્યા છે. જો કે આ અંગે તંત્ર સાથે સીધો સંપર્ક સાધી શકાયો નથી.
આપણ વાંચો : ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી