પાલનપુરમાં કોન્સ્ટેબલે ભર્યું અંતિમ પગલું, સ્યૂ સાઈડ નોટમાં કર્યા મોટા ખુલાસા

બનાસકાંઠમાં ગુજરાત પોલીસને શર્મસાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ તો પોલીસ લોકોની સેવા, સુરક્ષા અને શાંતિ માટે હોય છે. ગુજરાત પોલીસના લોગોમાં પણ એવું જ લખેલું છે. પરંતુ પાલનપુરમાં જે ઘટના બની છે ગુજરાત પોલીસને ખૂબ પીડા દાયક છે. કારણે કે, પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવતા કથિત માનસિક ત્રાસના કારણે એક કૉન્સ્ટેબલે પોતાની જીવન લીલા ટૂંકાવી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આત્મહત્યાથી ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓને શંકાના દાયરામાં!
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે પોલીસ કૉન્સ્ટેબલે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. આ કૉન્સ્ટેબલની આત્મહત્યાએ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યો છે. મહત્વની વાત એ છે કે, કૉન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

પોલીસ કૉન્સ્ટેબલે સુસાઇડ નોટમાં અધિકારીઓ પર લગાવ્યો આરોપ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાલનપુરમાં વિંદલરાજ ચૌહાણ નામના પોલીસ કૉન્સ્ટેબલે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી છે. પરિવારે ગુજરાન ચલાવા વ્યક્તિને ગુમાવી દીધો છે. પરિવારે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યું કે, વિંદલરાજે આપઘાત કરતાં પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ સાથે નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે. પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે.

પોલીસ કૉન્સ્ટેબલ મૃતદેહને પીએમ માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયો
મળતી જાણકારી પ્રમાણે વિંદલરાજ ચૌહાણ નામના મૃતક પોલીસ કૉન્સ્ટેબલ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો છે. અત્યારે પોલીસ કૉન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણના મૃતદેહને પાલનપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. પરંતુ જોવાનું એ રહે છે કે, આ મામલે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે?