કુદરતનું કેલેન્ડર ફર્યુ, સૂત્રાપાડા, કોડિનારમાં વરસાદ, ખેડૂતો ચિંતામાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ મહિસાગર, ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના નાઘેડ પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામા આવી ગયા છે. આ સાથે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પણ ચિંતામાં આવી ગયા છે.
સોમવારે કોડીનાર તાલુકાના ફાચરિયા, સિંધાજ, કાંટાળા અને સુત્રાપાડા તાલુકાના ભુવાવડ, વિઠલપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ઘઉં, તલ અને ચણા જેવા શિયાળુ પાક ખેતરોમાં કાપણીને આરે છે અથવા કાપીને મૂકેલા છે. તેવામાં વરસાદ આવતા તેમના પાકને નુકસાન થવાની ભીતી સર્જાઈ છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર અમુક ગામોમાં ખેતરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જોરજાર ઝાંપટા જો એકાદ દિવસ વધુ આવશે તો ઘઉંની ગુણવત્તાને નુકસાન થશે.
આવી જ રીતે આંબામાં નાની ખાખડી જોવા મળી રહી છે. વરસાદી ઝાંપટાથી તેને પણ નુકસાન થઈ શકે તેમ છે. બદલતું હવામાન તમામ પાકના ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે તેમ છે.



