કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ૨૭મીએ ₹ ૭૫૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તા. ૨૭મી ફેબ્રુઆરીએ વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. તેમાં ગાંધીનગર મતવિસ્તારમાં વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં ૭૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સેક્ટર-૨૧ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. તેમજ ગુડાના ૨૬૬૩ આવાસનો ડ્રો યોજાશે તેમાં હાજરી આપશે તથા અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે. ૪.૧૩ કરોડના ખર્ચે બનેલા ચાર સ્કૂલના નવા મકાન તેમજ ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલું ચ-૨ ખાતેનું ટ્રાફિક સર્કલ અને સેક્ટર-૬માં ૭૩ લાખના ખર્ચે ડોક્ટર હાઉસ પાસેનું પાર્કિંગ તથા પાવરગ્રીડ કોર્પોરેશન તરફથી મળેલું રોડ સ્વીપર મશીન અને ૧૧ કરોડના ખર્ચે સેક્ટરોના એપ્રોચ રોડ ફોરલેન કરવાની કામગીરી તેમજ રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી ૧૧.૮ કરોડના ખર્ચે લેન્ડસ્કેપિંગ અને બ્યુટીફિકેશન થશે. રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી ત્રણ કરોડના ખર્ચે ફૂટપાથ અને ફેન્સિંગ તેમજ રાયસણ ખાતે પીડીપીયુ રોડ પર નવ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન- લેન્ડ સ્કેપિંગ તથા રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે ૧.૨૫ કરોડના ખર્ચે બનાવાયેલો બગીચો અને કુડાસણ અને વાવોલ વિસ્તારમાં ૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરાશે તથા ૧૫ કરોડના ખર્ચે ચ- રોડ પર સેક્ટર-૨૧-૨૨ વચ્ચે અન્ડરપાસ તથા ૧.૧૫ કરોડના ખર્ચે કોટેશ્ર્વર ખાતે ગાર્ડનનું લોકાર્પણ કરાશે.