આપણું ગુજરાત

ગુજરાતમા મુદ્રા યોજના હેઠળ સરકારે 5 વર્ષમાં 70 હજાર કરોડની લોન આપી

અમદાવાદઃ દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2024-25 (નવેમ્બર 2024) સુધીના ગાળામાં કુલ ₹70051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી હતી.

ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે.

ગુજરાતમાં વર્ષ 2024-25 માટે ₹9,708 કરોડની લોન આપવામાં આવી

આ યોજનાની સફળતા આંકડાઓથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં 1.42 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા જેની સંખ્યા વર્ષ 2023-24 સુધીમાં 1.95 કરોડ સુધી પહોંચી છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં 80.5 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. પીએમ મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21માં ₹11,239 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી જે વર્ષ 2023-24માં વધીને ₹19,607 કરોડ થઇ ગઇ છે. આ રીતે ચાર વર્ષમાં લોન ફાળવણીની રકમમાં 74 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં ₹9,708 કરોડની લોન આપવામાં આવી હતી.

દેશમાં કુલ 11.10 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું

પીએમ મુદ્રા યોજનાની દેશમા થયેલી અસરના મૂલ્યાંકન અંગે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પીએમ મુદ્રા યોજના શરૂ થયા બાદ દસ વર્ષના સમયગાળામાં દેશમાં કુલ 11.10 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આ નોકરીઓમાંથી 47 ટકા નોકરીઓનો ફાયદો એસ.સી, એસ.ટી અને ઓબીસી સમાજના નાગરિકોને થયો છે. મોટાભાગની નોકરીઓનું સર્જન ઉત્પાદન, ટ્રેડિંગ અને સર્વિસ ક્ષેત્રમાં થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button